મોડાસાના ખંભીસરમાં વરઘોડાને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યારે ઘટનાના 5 દિવસ બાદ પોલીસ ફરિયાદ લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસ અધિકારી સામે કાર્યવાહીની બાંહેધરી મળતા આખરે ફરિયાદ લેવામાં આવી છે. વરરાજાના પિતાની પોલીસ ફરિયાદ લેવામાં આવી છે.
જેમાં 45 વ્યક્તિઓનાં નામ સહિત 150ના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી છે. તેમજ વરઘોડા સામે ભજનમંડળી કરનાર 16 મહિલાઓ સામે પણ ફરિયાદ કરાઈ. આ ફરિયાદમાં એટ્રોસિટી,રાયોટિંગ અને 307 કલમ સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, ખંભીસરમાં દલિત પરિવારમાં પૂજાભાઈ ડાહ્યાભાઈ રાઠોડના દિકરા જયેશના લગ્ન હતા. જેને લઈને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જો કે ગ્રામજનોએ ધર્મયજ્ઞનું આયોજન કર્યું હતું. આથી એક તરફ વરઘોડો અને બીજી તરફ ધર્મયજ્ઞને લઈને વિવાદ સર્જાયો હતો. બંન્ને પક્ષો એક જ જગ્યાએ પોતાનો કાર્યક્રમ કરવા માટે મક્કમ હતા.
જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું. ધર્મયજ્ઞ દરમિયાન વરઘોડો નીકળતા બે જૂથો આમને સામને આવ્યા હતા. તો અન્ય સમાજની મહિલાઓ દ્વારા વરઘોડાનો રસ્તો રોકીને રામધૂન પણ કરવામાં આવી હતા. વરઘોડો ના નીકળતા આખરે ભારે ઘર્ષણ સર્જાતા જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.
તો આ દરમિયાન પોલીસની હાજરીમાં જ બન્ને પક્ષના ટોળાઓએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં 2 પોલીસના વાહન સહિત 5 વાહનમાં તોડફોડ થઈ હતી. તો DySP સહિત 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
પોલીસે બે આરોપીની કરી હતી ધરપકડ
આ મામલે થયેલી માથાકુટમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને પર પથ્થરમારો કરવાનો આરોપ છે. મહત્વનું છે કે લગ્નમાં વરઘોડા સમયે માથાકૂટ થઈ હતી. જેમાં પોલીસના કેટલાક જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા.
મહત્વનું છે કે, અરવલ્લીના ખંભીસરમાં દલિત યુવક વરઘોડો કાઢતા અન્ય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇ હોબાળો પણ મચ્યો હતો. જો કે બાદમાં પોલીસ પ્રોટેક્શન સાથે દલિત યુવતે વરઘોડો કાઢ્યો હતો.