શકરપુરના જાવેદહુસેન મલેક અને એક સગીરની કરી ધરપકડ, આરોપીઓ વડોદરાના યકુતપુરમાં સંતાયા હતા
ખંભાત તોફાનમાં સંડોવાયેલા બે આરોપીની PCBની ટીમે કરી ધરપકડ
બંને આરોપીઓને PCBએ ઝડપી ખંભાત પોલીસને સોંપ્યા
ખંભાતમાં થયેલા રાયોટિંગના મામલે તોફાનોમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરવામા આવી છે. PCBની ટીમે શકરપુરના જાવેદહુસેન મલેક અને એક સગીરને ઝબ્બે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રામનવમીના દિવસે તોફાનો કરી બંને આરોપીઓ ભાગી છૂટયા હતા જે બાદ પોલીસે સધન તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપીઓ વડોદરાના યકુતપુરમાં સંતાયા હોવાની જાણકારી મળતા બંને આરોપીને PCBની ટીમે ઝડપી પાડી ખંભાત પોલીસને ઝડપ્યા હતા. મહત્વનું છે કે અત્યાર સુધી ખંભાત હિંસા કેસમાં 3 મૌલવીઓ સાથે કુલ 26થી વધુ આરોપીની ઘરપકડ કરવામાં આવી છે.
તોફાન પહેલા આરોપીઓની વાતચીત સામે આવી
ખંભાતમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર કરવામાં આવેલા પથ્થરમારાની ઘટનામાં એક બાદ એક નવા ખુલાસો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે ગત રોજ પોલીસને આ મામલે એવી કડી હાથ લાગી છે જેમાં સમગ્ર કાવતરૂં આરોપીઓ દ્વારા આયોજનબદ્ધ રીતે જ ઘડાયું હતું. એટલે કે,ઘટનાના દોઢ બે દિવસ પહેલાં જ આરોપીઓએ એકબીજા સાથે કરેલી ટેલિફોનિક વાતચીતની ઓડિયો-ક્લિપ પોલીસને હાથ લાગી છે, જો કે, પોલીસે હજુ સુધી ઓડિયો ક્લીપ સત્તાવાર રીતે જાહેર નથી કરી
પોલીસને અન્ય લોકોની સંડોવણીના પણ મળ્યા પુરાવા
આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓનો એક જ મકસદ હતો કે, શોભાયાત્રા પર હુમલો કરવો. અને આ માટે તેઓએ જે વાતચીત કરી હતી તેની ઓડિયો ક્લીપ મળી આવી છે. જેમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે શોભાયાત્રા દરમિયાન શું કરવાનું છે.વધુમાં ઘટના બન્યા બાદ જે યુવકો પથ્થરમારામાં સંડોવાયેલા હોય તેમને પણ સ્પષ્ટ કહી દેવાયું હતું કે, તેમને જેલમાં રહેવું પડશે. આમ, માનસિક રીતે તેમને સમગ્ર ઘટનાથી વાકેફ કરાયા હતા. બીજી તરફ ઘટના બાદ હાલમાં જનજીવન થાળે પડી રહ્યું છે.
પહેલેથી લોકોને બોલાવી પથ્થર ભેગા કરી લેવાયા હતા
ખંભાતમાં થયેલ આગચંપી અને પથ્થરમારાના બનાવો એક પૂર્વનિયોજીત કાવતરું હતું જેમાં મૌલવી દ્વારા તમામ ફંડિંગ અને તોફાની તત્વોને ભેગા કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાની પહેલાથી જ ત્રણ મૌલવી અને 2 શખ્સોએ કાવતરું ઘડી નાંખ્યું હતું જેમાં મુસ્તકીમ મૌલવી, મતીન, મોહસીન મુખ્ય સૂત્રધાર છે જ્યારે રઝાક અયુબ, હુસૈન હાશેમશા દિવાન પણ ષડયંત્રનો ભાગ હતા. તપાસમાં થયેલા ખુલાસા અનુસાર જે દિવસ સરઘસને મંજૂરી મળી હતી ત્યારથી જ આ શખ્સો તમામ પ્લાનિંગ બનાવીને બેઠા હતા અને ખંભાત બહારથી લોકોને બોલાવી લેવામાં આવ્યા હતા. રવિવારે શોભાયાત્રા હતી જ્યારે આ તત્વો શનિવારે જ રાતે એકત્રિત થઈ ગયા હતા અને પથ્થરો સહિતની વસ્તુઓ ભેગી કરીને રાખી હતી.
ઘટના શું હતી ?
ખંભાતમાં રામનવમી પર્વ પર શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન શોભાયાત્રા સક્કરપુરા વિસ્તારમાંથી પસાર થઇ હતી. ત્યારે કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આમપોલીસ બંદોબસ્ત વચ્ચે તોફાની તત્વો બેફામ થયા હતાં. સક્કરપુરમાં પથ્થરમારામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તોફાનીઓએ ચગડોળ ગ્રાઉન્ડ નજીક પણ કેટલીક દુકાનોમાં આગ લગાવી હતી. પોલીસે ટીયરગેસના સેલ છોડી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.