ખંભાતમાં જૂથ અથડામણની ઘટના બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. સક્કરપુર ગ્રામ પંચાયતના વિસ્તારમાંથી હવે દબાણ દૂર કરવામાં આવ્યા છે. ત્યારે આ કાર્યવાહીનો ધારાસભ્ય ગ્યાસુદ્દીને વિરોધ કર્યો છે.
આણંદના ખંભાતમાં જૂથ અથડામણનો મામલો
ગેરકાયદે બાંધકામ સામે ગુજરાત સરકારની કાર્યવાહી
ડિમોલેશન સામે MLA ગ્યાસુદ્દીન શેખે વાંધો ઉઠાવ્યો
ઉત્તરપ્રદેશથી લઇને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં સરકારનું બુલડોઝર દોડી રહ્યું છે. ખંભાતમાં રામનવમીના દિવસે હિંસા ભડકી હતી અને આજે અહીં બુલડોઝર એક્શનમાં છે. નજીક બનેલી દરગાહની પાછળની દુકાનો બુલડોઝરે તોડી પાડી છે. ત્યારે હવે આણંદના ખંભાતમાં ડિમોલેશન મામલે MLA ગ્યાસુદ્દીન શેખે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરી છે. ગ્યાસુદ્દીને કહ્યું કે, ખંભાતમાં ડિમોલિશન અસંવૈધાનિક છે. કાનૂની પ્રક્રિયા વગર ડિમોલિશન કરાયું છે. માત્ર આરોપોના આધારે ડિમોલેશન કરાયું છે. મિલકત સંબંધિત વ્યક્તિને પુરાવા રજૂ કરવાની તક આપવી જોઈએ.
ગેરકાયદે બાંધકામ સામે ગુજરાત સરકારની કાર્યવાહી
પોલીસ અને તંત્રનું કહેવું છે કે આ જગ્યાથી હિંસાની આગ ફેલાઈ હતી. તંત્રનો પહેલાથી દાવો હતો કે હિંસા પાછળ બહારના લોકોનો પણ હાથ છે અને આજે ગેરકાયદ નિર્માણ પર સરકારનું બુલડોઝર ચાલી પડ્યું. આ પહેલા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ બુલડોઝર એક્શનમાં આવ્યું હતું અને ગેરકાયદે બાંધકામ સામે સરકારે કાર્યવાહી કરી હતી.
સરકારી જમીન ઉપર આવેલા ઝાડી-ઝાંખરા, દુકાનો દૂર કરાઈ
શોભાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ ઝાડી-ઝાંખરાની આડાશ લઈને પથ્થરમારો કર્યો હતો. જેથી જિલ્લા કલેક્ટરે બેઠક યોજીને આ દબાણ દૂર કરવા જણાવ્યુ હતું. જેમાં સરક્કરપુરની સરકારી જમીન પર આવેલા દબાણો પોલીસના બંદોબસ્ત વચ્ચે દૂર કરયા હતા.
પોલીસને હિંસા મામલે મહત્વની કડીઓ હાથ લાગી
આણંદના ખંભાતમાં જૂથ અથડામણનો મામલે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે ત્યારે પોલીસને હિંસા મામલે મહત્વની કડીઓ હાથ લાગી છે. પોલીસ તમામ પાસાઓ પર ગુપ્ત રાહે તપાસ કરી રહી છે ત્યારે આ અથડામણમાં શંકાસ્પદ શિક્ષક અને મૌલવીની સંડોવણી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. અગાઉ બુધવારે પોલીસે દાવો કર્યો હતો કે, ખંભાતની હિંસામાં સ્લીપર સેલ મો઼ડ્યુલો દ્વારા તથા સ્થાનિક મૌલવીઓ દ્વારા લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા.
કોણ છે મુખ્ય સૂત્રધાર ?
ખંભાતમાં રામનવમી પર હિંસા થઇ હતી. આ મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે દાવો કર્યો કે ખંભાતમાં રામનવમી પર સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવા માટે વિદેશમાં ષડયંત્ર રચાયું હતું. પોલીસે જણાવ્યું કે, એક મૌલવી મુસ્તકીમ અને તેમના બે સાથી મતીન અને મોહસિનની સાથે જ રઝાક અયૂબ, હુસૈન હાશમશા દીવાન પણ આ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર છે.
ખંભાતની બહારથી બોલાવાયા હતા કેટલાક લોકોનેઃ પોલીસ
આણંદ જિલ્લાના પોલીસ અધીક્ષક અજીત રાજિયાંએ કહ્યું કે, હિંસાને અંજામ આપવા માટે કેટલાક લોકોને ખંભાતની બહાર બોલાવવામાં આવ્યા હતા. શોભાયાત્રા રવિવારે કરી હતી, પરંતુ શનિવાર રાત સુધી બહારથી લોકોને બોલાવીને એકઠા કરવામાં આવ્યા હતા. સાથે જ પથ્થર અને બીજા ઘાતક હથિયારો લવાયા હતા. એટલું જ નહીં, હિંસા દરમિયાન આરોપીઓએ પથ્થર મારો કર્યો અને આગચંપી માટે લોકોને ઉકસાવ્યા. સાથે જ હિંસા માટે પૈસા પણ એકઠા કરવામાં આવ્યા હતા.
હિંસા માટે પૈસા પણ કરાયા હતા એકઠાઃ પોલીસ
પોલીસના અનુસાર, આરોપીઓએ જણાવ્યું હતું કે, જ્યારે શોભાયાત્રા મસ્જિદ પાસેથી પસાર થાય, ત્યારે પથ્થરમારો કરો. હિંસા ફેલાવવા વાળાને એવો ભરોસો અપાયો હતો કે તેમને કંઇ નહીં થવા દેવામાં આવે. જો કંઇ થાય છે તો કાયદાકીય મદદ પણ આપવામાં આવશે. આ ગુનાને અંજામ આપવા માટે પૈસા પણ એકઠા કરવામાં આવ્યા હતા.
મોબાઇલના આધારે સામે આવ્યું કે આ પૂર્વ નિયોજિત કાવતરૂં હતુંઃ પોલીસ
આણંદ જિલ્લાની પોલીસે કહ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ અને તેમના મોબાઇલ ફોનના ડેટાની તપાસ કરવામાં આવી. ચેટ અને કોલ રેકોર્ડિંગના આધારે સામે આવ્યું કે આરોપી પૂર્વ નિયોજિત ષડયંત્રનો ભાગ હતો. એક મૌલવી સહિત 6 આરોપીઓએ ષડયંત્ર રચ્યું હતું. ત્યારે, પોલીસે દાવો કર્યો કે આરોપીઓએ હિન્દુ સમુદાયના લોકોને સબક શિખવવાના ઉદ્દેશ્યથી શોભાયાત્રા પર હુમલાની યોજના બનાવી હતી.
કેટલા શખ્સો વિરુદ્ધ થઇ છે કાર્યવાહી ?
આપને જણાવી દઈએ કે, આ કેસમાં પોલીસ દ્વારા 30થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 61 લોકો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ તો 100 લોકોના ટોળા વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જણાવી દઈએ કે, ખંભાત હિંસામાં 1 વ્યક્તિનું મોત થઇ ગયું હતું, જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.