અમે તો સેવા કરવા ગયા હતા ધર્મના નામે અસામાજિક તત્વોએ બેફામ બની હત્યા કરી નાખી: મૃતક કનૈયાલાલ રાણાના પરિવારજન
ખંભાતમાં પથ્થરમારાનો મામલો
મૃતક કનૈયાલાલની અંતિમ વિધિ કરાઇ
આરોપીઓને તાત્કાલિક પકડીને સજા કરવા માંગ
રામનવમીની ઉજણી પર ગુજરાતમાં હિંસાનો માહોલ જોવા મળ્યો.હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.જે બાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા.અને આગજની અને તોડફોડ સાથે ઘર્ષણ સર્જાયું હતું.. જેમાં પોલીસની સાથે અનેક લોકો ઘાયલ થયાં હતાં. તો હિંસાને રોકવા માટે આખા જિલ્લાની પોલીસને બંને શહેરોમાં ખડકવાની જરૂર પડી હતી. બંને સંવેદનશીલ જગ્યાઓ પર હાલ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.લોકો ઘરની બહાર પણ નીકળી રહ્યા છે.
મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ
આણંદના ખંભાતમાં રામનવમી પર નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.આજે મૃતક કનૈયાલાલ રાણાની અંતિમ વિધી કરવામાં આવી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમવિધી કરવામાં આવી હતી.જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મહત્વનું છે કે ગઈકાલે પથ્થરમારાની ઘટનામાં ઘાયલ કનૈયાલાલ રાણાનું મૃત્યુ થયું હતું. જે બાદ તેમણે સારવાર અર્થે પેટલાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મૃતદેહનું પી.એમ કર્યા બાદ બાદ ઘરે મૃતદેહ લવાયો છે. શા કારણે મૃત્યુ થયું તેનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. કનૈયાલાલ રાણાનો મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો.
અમે તો રામજીની સેવામાં ગયા હતા: મૃતક કનૈયાલાલ રાણાના પરિવારજન
હિંસાને લઇને મૃતકના પરિવારજનોએ કહ્યું કે, કનૈયાલાલ રાણા રામજીની સેવામાં ગયા હતા.અમને ખબર નહતી કે, ધર્મની સેવામાં પરિવારજન ગુમાવવા પડશે.અસામાજિક તત્વોએ બેફામ બનીને હત્યા કરી છે.આ સાથે જ આરોપીઓને તાત્કાલિક પકડીને સજા કરવા માંગ કરી છે.આ મામલે જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે શાંતિપૂર્ણ માહોલમાં મૃતકની અંતિમયાત્રા પૂર્ણ થઇ.રાયોટિંગ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.અને 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.હત્યા મામલે પોલીસ તપાસ કરી રહી છે.અસામાજિક તત્વોની અફવાઓ પર ધ્યાન ન દેવા અપીલ કરી છે.
પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી
આણંદના ખંભાત પથ્થરમારા મામલે પોલીસે જૂથ અથડામણમાં ક્રોસ ફરિયાદ નોંધી છે. શોભા યાત્રામાં શામેલ 4 લોકો અને 1 હજારના ટોળા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસની નજર સમક્ષ શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતાં વિધર્મી લોકોએ શોભા યાત્રા પર થ્થર મારો કર્યો હતો.ખંભાત શહેર પોલીસે 61 લોકો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરી છે જેમ જેમ તપાસ ચાલી રહી છે તેમ તેમ અસામાજિક તત્વોને ઓળખી ફરિયાદ દાખલ કરવામા આવી રહી છે.
ગઈકાલે શું થયું હતું?
આણંદના ખંભાતમાં રામનવમીની શોભા યાત્રા દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થર મારો કરીને શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. અતિ સંવેદનસિલ એવા ખંભાત શહેરમાં રામનવમી પર્વ નિમિત્તે નીકળેલી ભગવાન રામજીની શોભાયાત્રા દરમિયાન શહેરના સક્કર પુરા વિસ્તારમાં શોભા યાત્રા પસાર થઈ રહી હતી તે દરમિયાન કેટલાક તોફાની તત્વોએ શોભાયાત્રા પર પથ્થરમારો કરતા ભાગદોડ થઇ ગઇ હતી. પોલીસ બંદોબસ્ત હોવા છતાં તોફાની તત્વો બેફામ થતા લોકોનો પણ રોષે ભભૂક્યો હતો. જોકે તાબડતોબ પોલીસે તોફાની તત્વોને ડામવા ટીયરગેસના સેલ છોડી પરિસ્થિતિ થાળે પાડી હતી. શહેરના ટાવર ચોક તેમજ ચગડોળ ગ્રાઉન્ડ નજીકમાં 7 થી 8 દુકાનો અને લારી ગલ્લાઓને તોફાની તત્વોએ આગ ચંપી કરી હતી. આ પરિસ્થિતિ વધુ વણસી હતી. આથી પોલીસ અને ફાયરની ટીમે આગને કાબુમાં લીધી હતી. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી રાત સુધીમાં સ્થિતિ પર સપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.