સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ રાજકોટમાં બારે મેઘ ખાંગાં થયા બાદ પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ હતું. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ઘણા શહેરોમાં પાણી ભરાવવાની સ્થિતિ ઉભી થઈ હતી. વરસાદના કારણે હજારો એકડ જમીનમાં ઉભો પાક તણાઈ ગયો હતો. જેના કારણે ખેડૂતોને ભારે વરસાદનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સાથે જ ઘણા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે જાન માલનું પણ નુકસાન થયું હતું.
ખજૂરભાઈએ પહોંચાડી મદદ
સૌરાષ્ટ્રમાં થયેલા ભારે નુકસાનમાં લોકોની મદદ કરવા માટે ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. રાજકોટ અને જામનગરની આજુ બાજુના ગામડાઓ જેમાં લોકોને વરસાદના કારણે નુકસાન પહોંચ્યું છે તેમની મદદ કરવા માટે નીતિન જાનીએ તેમના માટે ફૂડ પેકેટ્સ અને બીજી મદદ પહોંચાડી છે.
તૌક્તે વાવાઝોડામાં પુરગ્રસ્તોની મદદ કર્યા બાદ હવે ખજૂર ભાઈ રાજકોટ અને જામનગરના આસપાસના વિસ્તારો કે જ્યાં ભારે વરસાદે ભારે તબાહી મચાવી હતી તેમની મદદ માટે આગળ આવ્યા છે. જામનગરના અંતરીયાળના ગામો અલિયા, મોડા, બાળા, સીતાપર, ગંગાજળામાં જરૂરીયાત મંદોને ખજૂરભાઈ અને તેમની ટીમે ફૂડ પેકેટ પહોંચાડ્યા હતા.
આ રીતે અંતરિયાળના ગામોમાં પહોંચ્યા
જામનગરના આ ગામમાં પહોંચતી વખતે ખજૂરભાઈ અને તેમની ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. ઘણા ગામ સંપર્ક વિહોણા હોવાના કારણે ત્યાં જવા માટે રસ્તાની કોઈ સુવિધા ન હતી. જેના કારણે અમુક ગામ સુધી લોડિંગ ટ્રકમાં અને અમુક ગામોમાં ચાલતા પણ ખજૂરભાઈ અને તેમની ટીમે પહોંચીને મદદ પહોંચાડી હતી.
એક જ દિવસમાં 10થી 12 ગામડાઓ સુધી પહોંચીને ખજૂરભાઈએ લોકોને મદદ કરી હતી. આ ગામડાઓમાં એમુક ગામોની પરિસ્થિતિ એવી પણ હતી જ્યાં લોકોને પીવાના પાણીની સુવિધા નથી અને સાથે જ વિજળી પૂર્વઠો પણ નથી પહોંચી રહ્યો.