ગુજરાતમાં ચારેકોર ખાડાઓનું સામ્રાજ્ય છે. ખાડાઓને લઈને લોકોને ભારે પરેશાન થઈ રહી છે. VTVએ ગુજરાતભરમાં ક્યાં અને કેટલાં જોખમી ખાડા પડ્યા છે તેનું રિયાલિટી ચેક કર્યું ત્યારે તંત્રની પોલ ખૂલી ગઈ. ખાડાઓની પરેશાનીથી લોકોને બચાવવા અને તંત્રને સીધુ દોર કરવા વીટીવીએ ગુજરાતભરમાં પડેલાં ખાડાઓનું રિયાલીટી ચેર કર્યું ત્યારે શું સામે આવ્યું જુઓ
સુરતની શાન પર ખાડાઓનું ગ્રહણ
સુરત શહેરની શાન પર ખાડાઓનું ગ્રહણ લાગ્યું છે. લાલ દરવાજા વિસ્તારમાં 14 ઇંચ પહોળા અને 22 ઇંચ લાંબા ખાડા જોવા મળ્યાં છે. આ રસ્તા પર 7 ઇંચ ઉંડા ખાડા જોવા મળ્યાં છે. જો કે પ્રજાને પરેશાની છતા સત્તા પક્ષ-વિપક્ષ બંને ચુપ જોવા મળી રહ્યાં છે.
શહેર બીજી તરફ તંત્રએ ખાડા પુરી શહેરીજનોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ખાડામાં કપચી નંખાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે.
વડોદરાના વોર્ડ નંબર-4માં પડ્યા ખાડા
ખાડાનગરી બની ગયેલા વડોદરાના આ દ્રશ્યો છે વોર્ડ નંબર 4ના. અહીં ખોડીયાર ચાર રસ્તા પાસે મસમોટા ખાડા પડ્યા છે. વોર્ડના એન્જિનિયર નિલેષ પરમારનું પાપ બહાર આવી ગયું છે. સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીના પાપે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો છે. ભાજપ કોર્પોરેટર અજીત દધીચ અને કોંગ્રેસ કોર્પોરેટર અનિલ પરમાર નિંદ્રાધીન છે. તો જનતા પરેશાન છે.
આ ખાડાએ કોઈના મણકા ખસાડી દીધા. તો કોઈને કમરનો દુખાવો થઈ ગયો. કેટલાકના વાહનોની બદતર હાલત થઈ. ખોડિયારનગર ચાર રસ્તા પાસે 36 ઈંચ લાંબા અને 27 ઈંચ પહોળા ખાડા પડ્યા છે. નેતાજી ભલે હાલ મસ્ત હોય પણ જનતા બધુ જુએ છે. ભ્રષ્ટાચાર એન્જિનિયરોનો હોય કે નેતાઓનો ખાડા તો પુરવા જ પડશે.
વડોદરામાં એરપોર્ટ સર્કલ પર પુરેલા ખાડા ફરી પડ્યાં છે. ભાજપના કોર્પોરેટર રાજેશ શાહ અને યોગેશ મુક્તિનો આ મત વિસ્તાર છે. જ્યારે સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા સર્કલ પાસે ભાજપ કાર્યલયની સામે જ ખાડા પડયા છે. મેયર જીગીશાબેન શેટના વોર્ડમાં જ ખાડા જોવા મળ્યાં છે.
રાજકોટમાં પણ ખાડાથી લોકો પરેશાન
રાજકોટ શહેરમાં પણ લોકોને કમરના દુખાવા થઇ જાય તેવા રસ્તાઓ જોવા મળે છે. રસ્તા પર 10 ફૂટથી મોટા ખાડા પડ્યાં છે. મેજર ટેપ પૂરી થઇ ગઇ પણ ખાડો પૂરો ન થયો. ભાજપના ધારાસભ્ય લાખા સાગઠિયાના મતવિસ્તારમાં ખાડા પડ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના રસ્તા ખખડધજ હાલતમાં
છોટાઉદેપુર જિલ્લાના રસ્તા ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યાં છે. નસવાડી-કવાંટ હાઇવે પર મસમોટા ખાડા પડ્યા છે. રસ્તાઓ બિસ્માર હોવા છતાં વહીવટી તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે. મોટા ખાડાઓ રિપેર ન કરાતા વાહનચાલકો પરેશાન થઇ ગયા છે. વરસાદે તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે.
પંચમહાલના હાલોલના રસ્તા બન્યા બિસ્માર
પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાઇ ગયા છે. હાલોલ તાલુકાના રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યાં છે. ઉજેતી પંચાયતમાં આવેલો આણનસી ગામથી ખોડિયાપુરા તરફનો રસ્તો ધાવાયો છે. ભારે વરસાદના કારણે નાળુ અને રસ્તો ધોવાઇ ગયો છે. ચાર મહિના પહેલા જ રસ્તો અને નાળુ બનાવવામાં આવ્યું હતું. રોડ અને નાળામાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
જૂનાગઢમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર
જૂનાગઢમાં વરસાદના કારણે રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા છે. રસ્તા પરના ખાડાથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. મધુરમ ટીંબાવાડીનો રસ્તો બિસ્માર હાલતમાં છે. જૂનાગઢથી સોમનાથને જોડતા મુખ્ય રસ્તા પર ખાડાથી વાહનચાલકો પરેશાન થઇ ગયા છે. તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રસ્તા પરના ખાડામાં કોંક્રિટ નાખી પુરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જોકે આ કામ પણ ગોકળગતિએ ચાલી રહ્યું છે.