આજે રાજકારણના એક યુગનો અંત થયો. પાટીદાર નેતા કેશુભાઈ પટેલનું આજે નિધન થયું છે. ત્યારે આવો જાણીએ કે, ઘંટી દળવાથી લઈને મુખ્યમંત્રી સુધીની જીવન ઝરમર
અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા
જૂનાગઢમાં થયો હતો જન્મ
લતિફ સામે બાયોં ચઢાવી હતી કેશુબાપાએ
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, તેઓ થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા અને તેઓ સાજા પણ થયાં હતા. જો કે ત્યારબાદ તેમને હાર્ટ અટેક આવતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.
જૂનાગઢમાં થયો હતો જન્મ
બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. માત્ર એટલું નહીં તેમણે અમદાવાદના ડોન લતિફના તેના હોમગ્રાઉન્ડ એવી પોપટીયાવાડમાં જઈ પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ કર્યો.
અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા.
મચ્છુ 1ના નિર્માણ સમયે સાઈટ પર અનાજ દળવાની ઘંટી ચલાવતા: વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા.
લતિફ સામે બાયોં ચઢાવી હતી કેશુબાપાએ
લતિફના ગઢ એવી પોપટીયાવાડ પોલીસ પણ દરોડા પાડી શક્તી નહોતી અને બિનમુસ્લિમ તે વિસ્તારમાં પ્રવેશવાની હિંમત કરતા નહોતા. પરંતુ લોકોના મનમાંથી લતીફનો ડર દૂર કરવા ભાજપે પોપટિયાવાડમાં જ લોકદરબાર યોજવાનું નક્કી કર્યું હતું. કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લઈને ભાજપે કેશુભાઈની હાજરીમાં પોપટિયાવાડમાં લોકદરબાર યોજ્યો અને તેને ખૂબ સફળતા મળી હતી. અહીંથી ભાજપને ચૂંટણીનો મુદ્દો મળ્યો અને 1995ની ચૂંટણીઓ લતિફને ગુંડાગીરી અને આતંકનો એક ચહેરો બનાવી ભાજપે કોંગ્રેસ સામે આક્રમક પ્રચાર કર્યો હતો.
ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી
કેશુભાઈના નેતૃત્વમાં બીજેપીએ પહેલીવાર સત્તા સ્વાદ ચાખ્યો: 1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતા. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.
17ની વયે જોડાયા આર.એસ.એસ.માં
કેશુભાઈ પટેલ 1945માં 17ની વયે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યાર બાદ વર્ષ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર્તા તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેમજ કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. કેશુભાઈ 1977માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યાં. ત્યાર બાદ તેમણે 1978થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.
વર્ષ 1978થી 1995 દરમ્યાન બાપા કાલાવડ, ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. આ દરમિયાન વર્ષ 1980માં જનસંઘનું વિલીનીકરણ થતા તેઓ નવી બનેલી બીજેપીમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં ઉભરી આવ્યા. કેશુભાઈએ નેશનલ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી અને પરિણામે 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવી.
1995માં બન્યા ગુજરાતના 10માં મુખ્યમંત્રી
કેશુભાઈ માર્ચ-1995માં ગુજરાતનાં 10માં મુખ્યમંત્રી બન્યા. પરંતુ કેશુભાઈનાં તે સમયના સાથી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા કેશુભાઈએ 8 મહિનામાં રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદ 1998માં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને તેઓ મુખ્યમંત્રી બન્યા.
ભૂકંપે લઈ લીધી બાપાની ખુરશી
26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવ્યો અને ઓક્ટોબર 2001માં સત્તાના દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ભૂકંપમાં નબળી રાહત કામગીરીના આરોપ બદલ કેશુભાઈએ રાજીનામું આપી દીધું. કેશુભાઈના રાજીનામાને પગલે ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન બનાવ્યા હતા.
2012માં કરી જીપીપી સ્થાપના
2002માં તેઓ વિધાનસભા ચૂંટણી ન લડ્યાં અને રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા. ત્યાર બાદ ભાજપમાંથી રાજીનામુ આપી કેશુભાઈએ ઓગસ્ટ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી( GPP ) ની રચના કરી અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓએ વિસાવદર બેઠક પરથી જીત મેળવી.
સોમનાથમાં ટ્રસ્ટી તરીકે હતા સામેલ
જો કે માત્ર બે વર્ષના સમયગાળામાં તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું. ત્યાર બાદ વર્ષ 2014ની શરૂઆતમા જ જીપીપીના અધ્યક્ષ પદેથી પણ રાજીનામું આપી રાજકીય સંન્યાસ લીધો. જોકે હાલ તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી હતી.
કેશુભાઈનું પારિવારિક જીવન
કેશુભાઈના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લીલા બેન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા હતા. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ તેઓના ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઈઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતા વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા. જ્યારે ગત વર્ષે તેમના પુત્ર પ્રવીણ પટેલનું નિધન થઈ ગયું હતું.