ગીર-સોમનાથઃ કેસર રસિયાઓ માટે માઠા સમાચાર છે. આ વખતે કેસર કેરી સમયસર નથી. કેસર કેરીના રસિયાઓને હજુ એકથી દોઢ મહિના સુધી રાહ જોવી પડશે. કારણ કે કમોસમી વરસાદના લીધે કેસર કેરીની સીઝન અગામી એકથી દોઢ મહિના સુધી આવશે. એપ્રિલના અંતમાં કેસર કેરી બજારમાં આવશે. તો મેથી જૂન સુધી કેરીના રસિયાઓને સ્વાદ ચાખવા મળશે.
ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. અહીંથી હજારો કિલો કેરી એક્સપોર્ટ થાય છે. ત્યારે કમોસમી વરસાદથી આંબા પર ફલાવરિંગ આવ્યું છે. આંબામાં અત્યાર સુધીમાં બે તબક્કામાં ફલાવરિંગ આવ્યું હતું. પ્રથમ તબક્કાના ફલાવરિંગમાં મગીયો બેસી ગયો હોવાથી નાનકડી ખાખડી બેઠી હતી. સાથે આંબાનો મોર કાળો પડીને ખરવા લાગ્યો હતો. આંબામાં ફૂગ મધિઓ ભુક્કીચારા રોગ લાગુ પડયો હતા.
કેરી પકવતા ખેડૂતો ચિંતિત બનીને દવાઓનો છંટકાવ કર્યો હતો. જેને લઇને ખેડૂતોના જીવ તાડવે ચોંટી ગયા હતા. ગીર અને સૌરાષ્ટ્ર પંથકમાં કેસર કેરીના આંબાનું વાવેતર કુલ 37 હજાર 517 હેક્ટર થયું છે. જૂનાગઢમાં 8490 હેક્ટર ગીર સોમનાથમાં 14520 હેક્ટર અમરેલીમાં 6925 હેક્ટર ભાવનગરમાં 6388 હેક્ટર રાજકોટમાં 425 હેકટર અને જામનગરમાં 424 હેકટરનું વાવેતર થયું છે.