કેરળ સરકાર CBIને આપેલી સામાન્ય સહમતિ પાછી ખેંચી લેવાનું વિચારે છે. અત્યાર કેરળ LDF, CPI (M) અને CPIની ગઠબંધન સરકારમાં ચાલે છે.
ગઠબંધનમાં શામેલ પક્ષો એવું ઈચ્છે છે કે CBI ઉપર અન્ય રાજ્યોની જેમ નિયંત્રણ મુકવામાં આવે. આ મામલે વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલાએ કહ્યું છે કે CBI ઉપર અંકુશ મુકવો એ આત્મઘાતી પગલું છે. આ પગલાંથી સરકાર લાઈફ મિશન યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને ઢાંકવાની કોશિશ કરે છે.
CPI (M)ના વરિષ્ઠ નેતા એ કે બાલને કહ્યું કે રાજ્યો જ્યારે CBIને સામાન્ય સહમતિ આપી હતી ત્યારે એજન્સી ઉપર સૌને વિશ્વાસ હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસની ફરિયાદના આધારે લાઈફ મિશન યોજનાની તપાસ કરનાર CBI એવા ક્ષેત્રમાં ઘુસી ગઈ જ્યાં તેને તપાસ કરવાની સત્તા નહોતી. આથી નછૂટકે અમારે હાઇકોર્ટથી આદેશ લાવીને તપાસ રોકાવવી પડી.
CPI (M)ના સ્ટેટ સેક્રેટરી કોડિએરી બાલાકૃષ્ણને કહ્યું કે અમે CBIના વિરોધમાં નથી પણ અમે ઈચ્છીએ છીએ કે એજન્સી રાજ્યની સહમતિથી પગલાં લે અને CBIનો રાજનૈતિક હથિયાર તરીકે ઉપયોગ ન કરે.