'ભારત જોડો યાત્રા'ને લઇ હાઇવે પર ગેરકાયદેસર બેનરો અને ઝંડા લટકાવતા કેરળ હાઇકોર્ટે કોંગ્રેસને ફિટકાર વરસાવી. HCએ કહ્યું-' પોલીસ અને અધિકારીઓએ આંખો બંધ કરી દીધી'
'ભારત જોડો યાત્રા'ને લઇ કોંગ્રેસે હાઇવે પર બેનર લગાવ્યા
હાઇવે પર બેનર લગાવતા કેરળ હાઇકોર્ટે ફિટકાર વરસાવી
પોલીસ અને અધિકારીઓએ આંખો બંધ કરી દીધી: કેરળ HC
કોંગ્રેસ દ્રારા હાલ દેશભરમાં 'ભારત જોડો યાત્રા' ચાલી રહી છે. ત્યારે આ યાત્રાને લઇને લાગેલા બોર્ડ અને ઝંડાઓ પર કોર્ટે આપત્તિ દર્શાવી છે. ગુરૂવારના રોજ કેરળ હાઇકોર્ટે માર્ગ સુરક્ષાને લઇને કહ્યું હતું કે, આની પર પોલીસ અને અધિકારીઓએ આંખો બંધ કરી દીધી છે. વાસ્તવમાં, કોર્ટમાં રસ્તાઓ પર ગેરકાયદેસર બેનરો અને બોર્ડ સાથે જોડાયેલા મામલા પર સુનાવણી થઇ રહી હતી. આ દરમ્યાન એમિક્સ ક્યુરી તરફથી યાત્રા સાથે જોડાયેલ વાત કોર્ટ સમક્ષ મૂકવામાં આવી.
આ મામલે જસ્ટિસ દેવન રામચંદ્રનની એકલ બેન્ચે સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું કે, 'ત્રિવેન્દ્રમથી ત્રિસૂર અને તેનાથી આગળ સુધી રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક ખાસ રાજનૈતિક દળ તરફથી વસ્તુઓ ગેરકાયદે સ્થાપિત કરવામાં આવી છે. પોલીસ અને અન્ય અધિકારીઓને આ વિશે ખ્યાલ છે પરંતુ તેઓએ આંખો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.' કોર્ટને એવી જાણકારી આપવામાં આવી કે, 'એક દળ વિશેષે કેરળમાં રેલી દરમ્યાન ગેરકાયદેસર રીતે ખૂબ મોટી સંખ્યામાં બોર્ડ, બેનર, ઝંડા અને અન્ય કેટલીક ચીજવસ્તુઓ લગાવી છે.'
ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી ચીજવસ્તુઓ વાહનચાલકો માટે જોખમી: કોર્ટ
કોર્ટે કહ્યું કે, 'ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી ચીજવસ્તુઓ વાહનચાલકો માટે જોખમી છે, કારણ કે હાઇવે પર જતી વખતે તેઓનું ધ્યાન ભટકી જશે. આ સાથે આમાંની કેટલીક વસ્તુઓ છૂટી પડી જાય તેવી છે આથી તેનાથી પણ મોટું નુકસાન થવાનો ખતરો છે. કોર્ટે આ મામલે ખાસ કરીને દ્વિચક્રી વાહનોના જોખમનો ઉલ્લેખ કર્યો હતો.'
કોર્ટનું કહેવું છે કે, 'આવી ચીજવસ્તુઓને ડિસ્પોઝ કરવા તેમજ નીકનારા કચરાને સંભાળવામાં સ્થાનીય સરકાર સંસ્થાઓ અથવા તો અન્ય સંબંધિત સત્તાની યોગ્યતા પણ એક સમસ્યા છે. સરકારી અધિકારી આ મુદ્દાઓને લઇને જાગૃત કેમ નથી. ખાસ ત્યારે કે જ્યારે આપણું રાજ્ય જળવાયુ કે હવામાનને હળવાશથી નથી લઈ શકતું.'
કોર્ટે કહ્યું કે, 'મુખ્ય રાજનૈતિક દળ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થતું દેખાઇ રહ્યું છે.' તેઓએ કહ્યું કે, કેટલાક લોકો દ્વારા કંઇ પણ વિચાર્યા વગર લીધેલા નિર્ણય અને અધિકારીઓની ઉદાસીનતા કોર્ટને કેરળને સુરક્ષિત સ્થળ બનાવવાની શપથ લેતા રોકી શકે નહીં.' હાલમાં કોર્ટે આ મામલાની સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખી છે.
ગઇકાલે કોંગ્રેસની આ યાત્રાને 14 દિવસ પૂર્ણ થયા
વાયનાડના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ 'ભારત જોડો યાત્રા'નું આયોજન કરી રહી છે. ત્યારે આ અંતર્ગત પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પદયાત્રા કરીને કન્યાકુમારીથી જમ્મુ-કાશ્મીરનો રસ્તો નક્કી કરશે. ગુરુવારના રોજ કોંગ્રેસની આ યાત્રાને 14 દિવસ પૂર્ણ થયા.