કેરળ હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપતા વેક્સિન સર્ટિફિકેટ પરની PMની તસવીર વિરૃદ્ધની અરજી રદ કરી દીધી છે. ચીફ જસ્ટિસ એસ મણિકુમાર અને જસ્ટિસ શાજી પી ચાલીની ડિવિઝન બેંચે કહ્યું કે, તસવીર કોઈ જાહેરાત નથી અને પીએમને સંદેશ આપવાનો પૂરો અધિકાર છે. કોર્ટે સિંગલ બેંચના અવલોકન સાથે સંમતિ દર્શાવી હતી કે પીએમની તસવીર કોઈ જાહેરાત નથી અને તેમને વેક્સિન સર્ટિફિકેટ દ્વારા પણ સંદેશ મોકલવાનો અધિકાર છે.
એડવોકેટ અજીત જોયની અરજી ફગાવી કેરળ હાઈકોર્ટે
એડવોકેટ અજીત જોયે કેરળ હાઈકોર્ટમાં અરજી કરીને વેક્સિન સર્ટિફિકેટ પરની PMની તસવીર હટાવવાની માગ કરી હતી, તેમણે તેમની અરજીમાં કહ્યું હતું કે કોઇ વ્યક્તિના પર્સનલ સર્ટિફિકેટમાં ફોટો સામેલ કરવાનો કોઇ જાહેર હેતુ કે કોઇ ઉપયોગિતા હોતી નથી. અરજદારે તેની અપીલમાં તેના પર સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવી દલીલ કરી કે સરકારી સંદેશાઓ અને ઝુંબેશનો ખાસ કરીને સરકારી ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી જેવા નેતાએ આવું ન કરવું જોઈએ કારણ કે તેઓ એક રાજકીય પક્ષના નેતા પણ છે.
પીએમ પદે નિયુક્ત થયા બાદ પીએમ કોઈ પક્ષના નેતા રહેતા નથી-કેરળ હાઈકોર્ટ
હાઈકોર્ટની ખંડપીઠે આ દલીલોને નકારી કાઢી હતી અને સિંગલ બેંચના નિરીક્ષણ સાથે સંમત થયા હતા કે પ્રધાનમંત્રીએ નાગરિકોના આદેશ મુજબ પદ સંભાળ્યું છે અને એકવાર પદ પર નિયુક્ત થયા પછી તેઓ હવે કોઈ પણ પક્ષના નેતા નથી. ખંડપીઠે એ દલીલને પણ નકારી કાઢી હતી કે રસીનું પ્રમાણપત્ર અરજદારના મત આપવાના અધિકારને અસર કરી શકે છે.