સુરત: કેરળમાં વરસાદે એવી તારાજી સર્જી છે કે દ્રશ્યો જોઈને જ ભલ ભલાના છક્કા છૂટી જાય. અત્યાર સુધીમાં કેરળમાં 324 જેટલાં લોકો કુદરતી પ્રકોપનો ભોગ બન્યા અને હાલ પૂરની સ્થિતિ છે. ત્યારે કુદરતી હોનારત સામે બચાવ અને રાહત કામગીરી માટે સુરતથી ફાયર વિભાગના 20 જવાનો કેરળ જશે.
બચાવ કામગીરી માટેની ચાર બોટ સાથે ફાયરના જવાનો કેરળ જવાની છે. તો એક ફાયર ઓફિસર અને 19 જવાનોની ટીમ કેરળ જશે. આ ટીમ અમદાવાદથી ફ્લાઇટ મારફતે કેરળ જશે.મહત્વની વાત છે કે CM કાર્યાલયથી આ બચાવ અને રાહત કામગીરી માટે જોડાવા આદેશ કરાયો છે.
આપને જણાવી દઇએ કે કેરળમાં હાલ વરસાદના લીધે ભયંકર પાણી ભરાયાં છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આ સાથે જ હજી આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદને પગલે નીચાણ વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જવાને કારણે કેટલાક લોકો હેરાન થયા છે તેમને સલામત સ્થળે પહોંચાડવા સ્થાનિક પોલીસ NDRF ટીમ અને સેના પણ કામે લાગી છે. ત્યારે ગુજરાત સરકારના આદેશથી સુરતની ફાયર વિભાગની ટીમ કેરળ જવાની છે.