કેરળમાં એક ગર્ભવતી હાથણીનું ખોરાકમાં ભેળવેલ સ્ફોટક પદાર્થ ખાઈ લેતા તેના મોઢામાં જ ધડાકો થતા તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટના હવે એક રાષ્ટ્રીય મુદ્દો બની છે અને દેશના તમામ લોકો એકજુટ થઇને આ જઘન્ય ઘટના ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. જો કે હવે એવી બાબત પણ સામે આવી છે કે આ સ્ફોટક ખોરાક હાથી માટે નહીં પણ જંગલી ભૂંડને મારવા માટે મુકાયેલા હતા. જો કે આ સ્તરની ક્રૂરતા કોઈ પણ પ્રાણી માટે યોગ્ય નથી એવી ચર્ચાઓ થઇ રહી છે.
આ અમાનવીય પ્રવૃત્તિ આજે પણ ઘણા પ્રદેશોમાં પ્રવર્તમાન છે. આ પ્રવૃત્તિને એક શિકારની પદ્ધતિ ગણવામાં આવે છે. શિકાર તરીકે પણ આ સૌથી વધુ ઘાતકી પદ્ધતિ ગણવામાં આવે છે. આ પદ્ધતિ ભૂંડ જેવા જંગલી પ્રાણીઓને મારવા માટે વપરાય છે.
કેવી રીતે અંજામ અપાય છે?
અહીં જે તે પ્રાણીના ખોરાકમાં, મોટા ભાગે મરેલા પ્રાણીના આંતરડામાં દારૂગોળો અને ગિલેટીનની સળીઓ ઠાંસી દેવામાં આવે છે. ભૂંડ જેવા પ્રાણીઓ મરેલા પ્રાણીની ગંધથી તેને ખાવા માટે આકર્ષાય છે અને તેઓ જેમ આંતરડા ઉપર બટકું ભરે તેની સાથે દારૂગોળો ફાટે છે અને જે તે પ્રાણીના મોંના ફુરચા ઉડી જાય છે અને તે ત્યાં જ કરુણ મોતને ભેટે છે.
ભૂંડ પાકનો નાશ કરે છે; આ તથ્યથી તેને આવી ક્રૂરતાથી મારવું કેટલું યોગ્ય?
જંગલી ભૂંડનો ત્રાસ ગુજરાતમાં પણ છે. રાત્રે આવીને ખેતરનો સફાયો કરી દેતા ભૂંડથી ખેડૂતો ત્રાસી જાય છે. આ માટે વિવિધ યુક્તિઓ અપનાવીને તેમને દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ એક સજીવ પ્રાણીના મોઢામાં બૉમ્બ ધડાકો કરીને તેને આવી બર્બરતાથી હણી નાખવું એ માનવતા ઉપર એક કાળો ડાઘ છે.
કેરળમાં એવી માહિતી સામે આવી રહી છે કે આ વનવિભાગની બેજવાબદારીને લીધે થયેલી ઘટના છે. આ વિસ્તારમાં ખાણ ખનન જેવી પ્રવૃત્તિઓને કારણે માનવીઓ અને જંગલી જાનવરો અવારનવાર સામસામે આવી જાય છે જેની સામે ઘાતકી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે.
શું આ માનવી હાલ પ્રકૃતિના આક્રોશનો ભોગ બન્યો છે?
અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીના ભરડામાં સપડાયું છે. વાયરસ, વાવાઝોડા, જંગલમાં આગ, ભૂકંપ વગેરે જેવી કુદરતી આપત્તિઓ માનવજાતને ઘમરોળી રહી છે. એવામાં આવી ઘટનાઓ સામે આવે છે જે દર્શાવે છે કે માનવજાત કુદરત સામે પડી છે. સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યો કરી રહેલા કેટલાક વિકૃતો ભાન ભૂલીને મૂંગા પ્રાણીઓ સામે જે પ્રકારે હિંસા આચરી રહ્યા છે માટે જ આપણે આવી જીવલેણ મહામારીનો ભોગ બન્યા છીએ.