કેરળમાં પૂરની સ્થિતિમાં હમણા તો થોડીક રાહત છે. ઈડુક્કી ડેમનું પાણી સતત બીજા દિસે 2 400.6 ફુટથી ઘટીને 2 398.68 ફુટે પહોંચી ગયુ છે. જો કે રવિવારે પણ જળાશય આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થયો. વાયાંડમાં એક ઘર ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યું હતુ. તેની સાથે જ વરસાદના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 38 થઈ ગઈ છે. 6 લોકો હજુ પણ ગુમ છે.
વાયાંડના જિલ્લાધિકારીએ શૈક્ષણિક સંસ્થાઓ ઓફિસોને બંધ કરવા માટે જાહેરાત કરી છે. પોથુંડી બાંધના ત્રણે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. તો આ મામલે મુખ્યમંત્રી પિનરઈ વિજયનનું કહેવું છે કે શરૂઆતી આંકડાઓ પ્રમાણે પૂરથી 8316 કરોડ રૂપિયાનું નુક્સાન થયું છે. તેઓએ કહ્યુ કે તાત્કાલિક રાહત અને પુનર્વાસ માટે 820 કરોડ રૂપિયાની વધારાની અને 400 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે.
ઉપરાંત રવિવારે કેરળમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે વરસાદી આફતનું નિરીક્ષણ પણ કર્યુ હતુ. આ નિરીક્ષણ બાદ રાજનાથ સિંહે રાજ્યને 100 કરોડ રૂપિયાની કેન્દ્રીય મદદ આપવાની જાહેરાત કરી હતી. જો કે મુખ્યમંત્રીએ તેના કરતા વધારે રાશિની માંગ કરી છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે પૂરના કારણે લગભગ 20 હજાર ઘર પૂરી રીતે બર્બાદ થઈ ગયા છે. પીડબ્લ્યુડી દ્વારા બનાવાયેલો લગભગ 10 હજાર કિલોમીટરનો રસ્તો વરસાદના કારણે ખરાબ થઈ ગયો છે.