કેરળમાં રાજકીય હત્યાઓનો રક્તરંજિત ઈતિહાસ રહ્યો છે ત્યારે હવે બે દિગ્ગજ નેતાઓની હત્યા બાદ લોકોમાં ભારે ખૌફ અને રોષની લાગણી જોવા મળી રહી છે.
કેરળમાં પહેલા SDPI પછી ભાજપ નેતાની હત્યા
12 જ ક્લાકમા બે હત્યાથી પરિસ્થતિ નાજુક
ધારા 144 લાગુ કરવામાં આવી
કેરળમાં ભારેલો અગ્નિ
કેરળમાં 12 જ કલાકમાં બે દિગ્ગજ નેતાઓની હત્યાથી હડકંપ મચી ગયો છે. અલપ્પુઝા જિલ્લામાં રવિવારે સવારે ભાજપના ઓબીસી મોરચાના રાજ્ય સચિવ રંજિત શ્રીનિવાસની હત્યાઆ કરવામાં આવી, તેઓ સવારમાં મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે જ હત્યારાઓ તેમના પર ત્રાટક્યા હતા. ઘરમાં ઘૂસીને ગળું કાપી શ્રીનિવાસની હત્યા કરવામાં આવી હતી જે બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે.
ભાજપ નેતાની કરપીણ હત્યા
રંજિત એક વકીલ પણ હતા, 40 વર્ષીય શ્રીનિવાસ ઘરે હતા ત્યારે કેટલાક લોકોએ દરવાજો ખખડાવ્યો. પછી અંદર ઘૂસીને પહેલા ઢોર માર માર્યો અને તે બાદ ગળું કાપીને કરપીણ હત્યા કરવામાં આવી. પોલીસે કહ્યું છે કે આ મામલે 11 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં શ્રીનિવાસનો પાર્થિવ દેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે.
12 જ કલાકમાં બે હત્યાઓ
આ પહેલા શનિવારે રાતે જ SDPI નેતા KS શાનની પણ હત્યા કરવામાં આવી હતી. પાર્ટીના નેતાઓનો આરોપ છે કે RSS દ્વારા આ હત્યા કરવામાં આવી છે. હવે રાજ્યમાં ચર્ચા છે કે SDPI નેતાની હત્યાનો બદલો લેવા માટે ભાજપ નેતા શ્રીનિવાસની હત્યા કરવામાં આવી હોય શકે.
ધારા 144 લાગુ
12 જ કલાકમાં બે દિગ્ગજ નેતાઓની હત્યા બાદ રાજ્ય આખામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઈ છે ત્યારે અલપ્પુઝા જિલ્લામાં તંત્ર દ્વારા ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. કેરળના મુખ્યમંત્રીએ આ પ્રકારની હત્યાઓની નિંદા કરી છે.