આજે PM મોદી ડાયમંડ સિટીની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ રોડ-શો અને સભા કરશે
વિધાનસભા ચૂંટણીને લઈ PM મોદી અને દિલ્હીના CM બંને સુરતમાં
ભાજપના ગઢમાં ગાબડું પાડવા કેજરીવાલે તૈયાર કરી ફોર્મ્યુલા
PM મોદી અને અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ-શો અને સભા કરશે
કેજરીવાલ કાપડ ઉદ્યોગના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. આજે PM મોદી સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. આ તરફ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સુરતમાં રોડ-શો અને સભા કરવાના છે.
અરવિંદ કેજરીવાલે સુરતમાં રોડ શો ભાજપના ગઢમાં ગાબડું પાડવાની ફોર્મ્યુલા તૈયાર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આપ નેતા આજે એટલે કે રવિવારે સુરતમાં પ્રચાર રેલીઓને સંબોધિત કરશે. સુરત તમામ પક્ષ માટે મહત્વનું છે. કારણ કે, સુરત રાજ્યની 182 વિધાનસભા સીટોમાંથી 12 બેઠકોને આવરી લે છે.
ચૂંટણીને લઈ દિગ્ગજો સુરતમાં
આજે PM મોદી ભરૂચના નેત્રંગમાં બપોરના 1 વાગ્યે વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરશે. જ્યારે બપોરના 3:30 વાગ્યે ખેડામાં અને સાંજે 6:30 વાગ્યે સુરતમાં જંગી જાહેર સભાને સંબોધી પ્રચાર કરશે. આ તરફ અરવિંદ કેજરીવાલ પણ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે કેજરીવાલ યોગી ચોકમાં જનસભાને સંબોધિત કરશે. આ સાથે તેઓ કતારગામમાં પણ રોડ શો કરશે.
શું છે કેજરીવાલની નવી ફોર્મ્યુલા ?
કાપડ અને હીરા ઉદ્યોગ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો લોકોના સમર્થનથી લાંબા સમયથી ભાજપનો ગઢ ગણાતા સુરતમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો છે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં અરવિંદ કેજરીવાલ કાપડ ઉદ્યોગના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક કરશે. આ ઉપરાંત કેજરીવાલ રત્નકલાકારોને પણ મળવાના છે.
PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
PM મોદી આજથી બે દિવસ સુધી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારમાં જોડાશે તેમજ મતદારોના મત જીતવાનો પ્રયાસ કરશે. PM મોદી ભરૂચના નેત્રંગમાં બપોરના 1 વાગ્યે વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરશે. જ્યારે બપોરના 3:30 વાગ્યે ખેડામાં અને સાંજે 6:30 વાગ્યે સુરતમાં જંગી જાહેર સભાને સંબોધી પ્રચાર કરશે. તેમજ વરાછામાં જનસભા પહેલા PM મોદી સુરત એરપોર્ટથી જનસભા સ્થળ સુધી મેગા રોડ શો પણ કરશે. 27 કિમીના રોડ-શોમાં PM મોદી લોકોનું અભિવાદન પણ ઝીલશે. PM મોદી સુરતની તમામ 12 વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો કરશે. રોડ-શો કર્યા બાદ PM મોદી જનસભાને પણ સંબોધન કરશે.