દેશની રાજધાની દિલ્હીમાં આપ સરકારનું મોડેલ સફળ થઇ રહ્યું જણાઈ છે, હાલમાં કેજરીવાલ સરકારના સામાજિક આર્થિક સર્વેના બીજા ભાગની રિપોર્ટમાં જાહેર થયેલા આંકડા અનુસાર દિલ્હીના 72.87 ટકા લોકો પ્રાઇવેટની જગ્યાએ હવે સરકારી હોસ્પિટલની સારવાર લેતા થયા છે.
દિલ્હીમાં લોકો હવે સરકારી હોસ્પિટલોનો કરી રહ્યા છે વધુ ઉપયોગ
આપ સરકારે કરાવેલા સર્વેમાં સામે આવ્યું તારણ
દિલ્હીની 72.87 ટકા જનતા પ્રાઈવેટની જગ્યાએ સરકારી હોસ્પિટલોનો કરે છે ઉપયોગ
મહત્વનું છે કે દિલ્હી સરકાર તરફથી નવેમ્બર 2018થી નવેમ્બર 2019ની વચ્ચે આ સર્વે કરાવાયો હતો અને આ સર્વેમાં દિલ્હીની જનતા માટે આરોગ્ય અને ટ્રીટમેન્ટ સંબંધિત સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. માહિતી પ્રમાણે દિલ્હીની 27.13 ટકા જનતા જ હવે પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઈલાજ કરાવે છે અને રાજધાનીની 2.60 ટકા જનતા ક્રોનિક એટલે કે જૂની બીમારીઓથી પીડાઈ રહી છે.જેમાંથી 50.29 ટકા પુરુષો અને 49.71 ટકા મહિલાઓ છે.
લોકો અલગ અલગ બીમારીઓથી પીડાઈ રહ્યા છે
ક્રોનિક બીમારીઓથી ગ્રસ્ત લોકોના કલાસિફિકેશન કરતા જાણવા મળ્યું હતું કે 36.33 ટકા લોકો ડાયાબિટીઝ અને 21.75 ટકા લોકો ગોઠણના દુખાવાથી પીડાઈ રહયા છે. જ્યારે કે 9.17 ટકા લોકોને શ્વાસ સંબન્ધિત અને 24.28 ટકા લોકોને અન્ય બીમારી છે. રાજધાનીના મધ્ય જિલ્લામાં ડાયાબિટીઝના સૌથી વધુ 43.34 ટકા દર્દીઓ છે અને ઉત્તર પશ્ચિમી જિલ્લામાં હૃદય રોગથી પીડાઈ રહેલા લગભગ 26.20 ટકા લોકો સામેલ છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટના વપરાશમાં વધારો
મહત્વનું છે કે આ સર્વેમાં બીજી ઘણી માહિતી સામે આવી હતી જેના પ્રમાણે નવી દિલ્હી જિલ્લામાં 10.89 ટકા લોકો હવે મેટ્રોનો ઉપયોગ કરતાં થયા છે અને રાજધાનીમાં 68.34 ટકા મહિલાઓ હવે પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ સેવાનો ઉપયોગ કરી રહી છે. 14.69 ટકા મહિલાઓ ઓટો રિક્ષા અથવા ઇ રિક્ષાનો વપરાશ કરે છે, તે જ સમયે 6.78 ટકા મહિલાઓ ખાનગી 2 વ્હીલર વાહનનો ઉપયોગ કરે છે.