ઠંડીમાં ત્વચા રુક્ષ અને બેજાન થઇ જાય છે. ચહેરાની ચમક સાવ ઉડી જાય છે. તેનાથી બચવા માટે જરુર છે ત્વચાની વિશેષ દેખભાળની. જો તમે થોડુ ધ્યાન રાખશો તો તમારો ચહેરો શિયાળાની ઠંડીમાં પણ ગુલાબી રહી શકશે.
જો તમારી ત્વચા અત્યંત ડ્રાય થઇ ચુકી હોય તો પહેલા સ્ક્રબની મદદથી મૃત ત્વચાને હટાવો. તેનાથી તમારી ત્વચા સ્વચ્છ રહેશે. ત્યારબાદ તમે તેની પર ખુબ જ સારી રીતે ઓઇલ કે કોલ્ડ ક્રીમનો મસાજ કરો.
ત્વચાને ચિકાશવાળી કે ભેજવાળી રાખવા માટે પહેલાના સમયમાં સૌથી સારો ઉપાય ઘી હતો. રાત્રે સુતી વખતે તમારી ત્વચા પર આંગળીના ટેરવાંથી ઘી લગાવો અને ત્યાં સુધી મસાજ કરો જ્યાં સુધી તમારી ત્વચા તે સંપુર્ણપણે શોષી ન લે. સવારે ઉઠીને તમે નરમ, મુલાયમ અને ચિકણી ત્વચા મેળવી શકશો.
વેસેલીન એટલે કે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ પણ ત્વચાને જરુરી ચિકાશ આપશે. તેને લગાવ્યા બાદ ડ્રાયનેસ ખતમ થઇ જશે. પેટ્રોલિયમ જેલી તમે ઘરે પણ બનાવી શકો છો.
ઘરમાં રાખેલું નારિયેળ તેલ પણ ત્વચા માટે સારો વિકલ્પ છે. રાત્રે સુતા પહેલા અને સવારે નાહ્યા બાદ નારિયેલ તેલથી મસાજ કરો. તેનાથી ત્વચામાં સરળતાથી ચિકાશ પહોંચશે અને રુક્ષ ત્વચામાં ખુબ લાભ થશે.
ભરપુર માત્રામાં પાણી પીવો. તે તમને આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે. શરીરમાં ભેજ જળવાઇ રહેવાથી ત્વચામાં રુક્ષતા આવતી નથી અને ત્વચા નીકળવાનું પ્રમાણ પણ ઘટે છે. આ ઉપરાંત તમે જ્યુસ કે ફળોનું સેવન પણ કરી શકો છો.
મોઇશ્વરાઇઝર લગાવવાની યોગ્ય રીત જાણો
જો તમે એમ વિચારતા હો કે મોઇશ્ચરાઇઝર લગાવવાની જરુર તમારે માત્ર ઠંડીની સીઝનમાં જ હોય છે તો તમે ખોટુ વિચારો છો. મોઇશ્વરાઇઝર એક એવી બ્યુટી પ્રોડક્ટ છે જેનો ઉપયોગ બારેય મહિના કરવો જોઇએ. તેના નિયમિત ઉપયોગથી તમારી ત્વચા કોમળ અને મુલાયમ રહે છે. મોઇશ્વરાઇઝરની પસંદગી ત્વચા પ્રમાણે કરો. કોઇની ત્વચા ઓઇલી હોય છે તો કોઇની નોર્મલ. આ પ્રમાણે તમારુ મોઇશ્વરાઇઝર પસંદ કરો. મોઇશ્વરાઇઝરમાં એસપીએફ પ્રોપર્ટી હશે તો તે વધુ સારુ સન પ્રોટેક્શન આપી શકશે. ત્વચાની સફાઇ કર્યા વગર મોઇશ્વરાઇઝર ક્યારેય ન લગાવો. ગંદી કે મેલી ત્વચા પર મોઇશ્વરાઇઝર લગાવવાથી સ્કીન પર પિંપલ્સ પણ થઇ શકે છે.