તીર્થ પુરોહિતો આંદોલનની સાથે ભૂખ હડતાળ પણ શરૂ કરશે
મહારાષ્ટ્રના ભક્તોની મદદથી ગર્ભગૃહની દિવાલો 230 કિલો સોનું મઢવાનું છે
ઉત્તરાખંડના કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં સોનાનું પડ ચડાવવાનો યાત્રાધામ પૂજારીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે, મંદિરમાં બળજબરીથી સોનું લગાવવામાં આવશે તો તીર્થ પુરોહિતો આંદોલનની સાથે ભૂખ હડતાળ પણ શરૂ કરશે. કેદારનાથ ધામમાં મહારાષ્ટ્રના ભક્તોની મદદથી ગર્ભગૃહની દિવાલો પર સોનાનો એક થર 230 કિલો સોનાથી મઢવામાં આવી રહ્યો છે.
સરકાર તરફથી મળી હતી મંજુરી
ગર્ભગૃહની દિવાલો પર સોનું ચઢાવવાની મંજૂરી સરકાર તરફથી મળી છે. બાબા કેદારના ગર્ભગૃહની દીવાલો પર સોનાનો એક થર લગાવવાનો હતો, પરંતુ તે પહેલાં તીર્થપુરોહિતોએ જોરજોરથી વિરોધ કરવાનું શરૂ કરી દીધું. પૂજારીઓનું કહેવું છે કે તે પરંપરાઓની વિરુદ્ધ છે. જેનો સંપૂર્ણ વિરોધ કરવામાં આવશે.
દિવાલો પર સોનાના ઢોળ ચઢાવવાનો વિરોધ
કેદારનાથ ધામના તીર્થપુરોહિત આચાર્ય સંતોષ ત્રિવેદીએ ગર્ભગૃહની દિવાલો પર સોનાનું પડ ચડાવવાનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલું પાંડવ યુગનું મંદિર અગાઉ પણ ચાંદીથી ઢંકાયેલું હતું. પુરોહિતે કહ્યું કે ગર્ભગૃહને ઠંડુ રાખવામાં આવે છે. કારણ કે ચાંદીનો સ્વભાવ ઠંડો હોય છે. પણ સોનાનો સ્વભાવ ગરમ હોય છે.
તીર્થપુરોહિતે ભૂખ હડતાલની ચીમકી આપી
પુરોહિતે જણાવ્યું હતું કે, આજે ગર્ભગૃહને ડ્રિલિંગ મશીનથી નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે જો સરકાર આ નિર્ણય જલદી પાછો નહીં ખેંચે તો તીર્થપુરોહિત સમાજને ભૂખ હડતાળ પર બેસવાની ફરજ પડશે. પૂજારીનું કહેવું છે કે મંદિરનું ગર્ભગૃહ મોક્ષ સ્થાન છે અને મોક્ષ સ્થાન પર સોનું લગાવવામાં આવતું નથી. તેમજ મંદિરના સદીઓ જૂના પથ્થરોને ડ્રિલ મશીનથી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મોક્ષધામમાં સોનું ન લગાવો
ગુસ્સે ભરાયેલા પુજારીઓએ ગર્ભગૃહમાંથી ડ્રિલ મશીન બહાર કાઢ્યું અને સોનાના ઢોળનો સખત વિરોધ શરૂ કર્યો. અને મોક્ષધામમાં સોનાની જરૂર નથી, કારણ કે કળયુગ સોનામાં રહે છે. ભગવાનના ગર્ભગૃહમાં સોનું મૂકવાનો અર્થ એ છે કે કલયુગને ગર્ભગૃહમાં બેસાડવું. આ જ કારણ છે કે પૂજારીઓ દિવાલો પરના સોનાના પડનો વિરોધ કરી રહ્યા છે.