ઉત્તરાખંડમાં ઓક્ટોબરમાં જ જોરદાર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. કેદારનાથ અને બદરિનાથમાં જોરદાર હિમવર્ષા જોવા મળી છે. ઓક્ટોબર મહિનામાં ભારે હિમવર્ષાની શરૂઆત થવાથી સમગ્ર વિસ્તારમાં ઠંડી અચાનક વધી ગઈ છે. આ બરફ વર્ષાને કારણે મુસાફરોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. હિમવર્ષાને કારણે કેદારનાથ અને બદરિનાથ ધામના પર્વતો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે.
ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં હિમવર્ષા
પહાડીય વિસ્તારમાં અચાનક પલટાયું હવામાન
ઉત્તરાખંડમાં થયેલ બરફવર્ષા ઉત્તર ભારતમાં જોવા મળી
કેદારનાથ અને બદ્રિનાથ ધામના કપાટ ટૂંક સમયમાં થશે બંધ
હવામાનને ધ્યાનમાં રાખીને કેદારનાથ અને બદરિનાથ ધામના કપાટ ટૂંક સમયમાં બંધ થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, પવિત્ર ધામોના કપાટ હવામાન પર નિર્ભર હોય છે અને ઠંડીની તીવ્રતા મુજબ તે ખૂલે છે અને બંધ થાય છે. હાલના હવામાનને ધ્યાનમાં રાખીને એવી શક્યતાઓ ઊભી થઈ છે કે આ મહિનાના અંત સુધીમાં પવિત્ર ધામના કપાટ બંધ કરવામાં આવશે. બીજી તરફ, ભારે હિમવર્ષાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં સિઝન પહેલાં જ પ્રવાસીઓનો મેળાવડો થવા લાગ્યો છે.
પહાડી વિસ્તારમાં અચાનક પલટાયું હવામાન
પહાડોમાં ઘણા દિવસો બાદ ગઈ કાલથી હવામાન ઓચિંતું પલટાયું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશનાં ઊંચા શિખરો બરફવર્ષાથી સફેદ થઈ ગયા છે. વરસાદ સાથે ભારે હિમવર્ષા થતાં પર્વતોમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હિમાચલ પ્રદેશના કેલાંગમાં તાપમાનનો પારો -0.6 ડિગ્રી સેલ્સિયસ.થઈ ગયો છે. ઉત્તરાખંડના કેદારનાથ અને બદરિનાથ ધામનાં શિખરોની સાથે હેમકુંડ સાહિબ અને નીલકંઠ પર્વત વગેરે ઊંચાઇવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. યમુનોત્રી અને ગંગોત્રી ધામની આસપાસનાં ઊંચાં શિખરો પર બરફ છવાઈ ગયો છે. હર્ષિલ, ગંગોત્રી અને યમુનોત્રી ક્ષેત્રમાં તાપમાન સવારે અને રાત્રે પાંચ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું.
ઉત્તરાખંડની બરફવર્ષાની અસર ઉત્તર ભારતમાં જોવા મળી
ઉત્તરાખંડમાં શરૂ થયેલી ભારે બરફવર્ષાની અસર દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆરની સાથે આસપાસના ઘણા વિસ્તારોમાં ઠંડીમાં ઓચિંતો વધારો જોવા મળ્યો છે. સવારે ઝાકળની ચાદરની સાથે તાપમાનમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારે ૫થી ૬ વાગ્યા દરમિયાન દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી નોંધાયું હતું.