કેદાર જાધવે તેમના પિતાના ગુમ થવાના અંગે 27 માર્ચ પુણે શહેરના અલંકાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જો કે હવે તેઓ મળી આવ્યા છે.
કેદાર જાધવ માટે રાહતના સમાચાર સામે આવ્યા
ક્રિકેટરના પિતા 27 માર્ચ ગુમ થઈ ગયા હતા
કેદાર જાધવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પિતાનો ફોટો શેર કર્યો હતો
ભારતીય ક્રિકેટર કેદાર જાધવના પિતા મહાદેવ જાધવ સોમવારે સવારે ગુમ થઈ ગયા હતા. એવું જાણવા મળ્યું હતું કે 75 વર્ષીય મહાદેવ તેમના પુણેના ઘર નજીકથી ગુમ થયા હતા એ બાદ પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં આવી હતી. જો કે હવે કેદાર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે તેના પિતા થોડા કલાકોમાં મળી આવ્યા હતા. કેદારે તેના પિતાની તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને આની જાણકારી આપી હતી.
પિતાના ગુમ થવાના અંગે ક્રિકેટરે 27 માર્ચ પુણે શહેરના અલંકાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. કેદાર જાધવે રિપોર્ટ નોંધાવ્યા બાદ પોલીસે તેના 75 વર્ષીય પિતાની શોધ શરૂ કરી હતી. અલંકાર પોલીસ સ્ટેશનમાં કેદાર જાધવની ફરિયાદ અનુસાર તેના 75 વર્ષના પિતા મહાદેવ જાધવ ડિમેન્શિયાથી પીડિત છે. તે તેના કોથરુડના ઘરેથી મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા અને છેલ્લે હાઉસિંગ કોમ્પ્લેક્સના ગેટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. કેદાર જાધવના ફોટોવાળો રિપોર્ટ તેની શોધ માટે પુણેના અન્ય પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવ્યો હતો.
આ અંગે 38 વર્ષીય કેદાર જાધવે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના પિતાનો ફોટો અને ફોન નંબર પણ શેર કર્યો હતો.
કેદાર જાધવના પિતા ગુમ થયાના થોડા જ કલાકોમાં મળી આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે મહાદેવ જાધવ મુંધવા વિસ્તારમાંથી મળી આવ્યો હતો. મુંધવા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અજીત લાકડેએ જણાવ્યું હતું કે, "તેમની હાલત સારી છે અને તે તેના પરિવાર પાસે સારી રીતે પંહોચી ગયા છે.'
કેદાર જાધવે ભારત માટે 73 ODI રમી છે અને 2007 થી મહારાષ્ટ્ર માટે રણજી ક્રિકેટ રમી રહ્યો છે. કેદાર જાધવે 73 વનડે રમી છે જેમાં તેણે 42.09ની એવરેજથી 1389 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 101.60 રહ્યો છે. કેદાર જાધવે વન ડેમાં 2 સદી અને 6 અડધી સદી ફટકારી છે. આઈપીએલ 2022 પછી તેને સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો અને 2023માં તેને કોઈ ખરીદનાર મળ્યો નહોતો. આવી સ્થિતિમાં તે આ સિઝનમાં જોવા નહીં મળે. તેની પાસે આઈપીએલનો ઘણો અનુભવ છે અને તે ઘણી ટીમો માટે રમ્યો છે.