2020 પાસે હવે તમે શું અપેક્ષા રાખી શકો? આપણી આસપાસ ગમતા લોકો અને દિગ્ગજ લોકોની ખોટ પડવા લાગી છે. મનોરંજન જગતમાં એક બાદ એક મોટી શખ્સિયત વિદાય લઇ રહી છે ત્યારે હવે ગુજરાતની સ્વરકોકિલા કૌમુદી મુંશીનું 91 વર્ષની વયે નિધન થયુ છે.
પીઢ ગાયિકા કૌમુદી મુનશીનુ નિધન
કોરોનામાં સપડાયા બાદ થયુ નિધન
નરેન્દ્ર મોદીએ કરી ટ્વિટ
પીઢ ગાયિકા કોરોનામાં સપડાયા હતા અને કોરોના સામે જંગ હારી ગયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું કે , ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુઃખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશા યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના..ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુઃખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશા યાદગાર રહેશે.. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના..ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
કૌમુદી મુંશીના નિધનથી ગુજરાતી મનોરંજન જગત અને સંગીતના ક્ષેત્રને ખૂબ મોટી ખોટ પડી છે, જે કદાય કોઇ નહી પૂરી કરી શકે. કૌમુદીજીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને દવાખાનામાં તેમને દાખલ પણ કરાયા હતા. તેઓ કોરોના સામેની લડાઇ હારી ગયા અને આપણી વચ્ચેથી સ્વરભરી વિદાય લીધી.
કૌમુદી મુનશીની તાલિમ
કૌમુદી મુનશી મૂળ વડનગરના હતા પરંતુ તેમનો જન્મ બનારસમાં થયો હતો કારણકે તેમનો પરિવાર કાશીમાં સ્થાયી થયો હતો. નાનપણથી જ તેમને સંગીતનો શોખ હતો અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી બીએની ડિગ્રી લીધી હતી. બાદમાં તેમણે સિદ્ધેશ્વરી દેવી પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી અને સંગીતકાર અને ગીતકાર નીનુ મજમુદાર સાથે તેમણે લગ્ન કર્યા હતા.
ગુજરાતી સંગીતમાં તે અમર રહેશે
‘અલી ઓ બજાર વચ્ચે બજાણિયો’, ‘નવી તે વહુના હાથમાં રૂમાલ’, 'નહિ મેલું રે નંદજીના લાલ', 'વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી', 'જાઓ, જાઓ, જ્યાં રાત ગુજારી', 'કોઈ આઘે આઘેથી વેણુ વાય છે', 'જીવન મળ્યું જીવનની પછી વેદના મળી' જેવા તેમના લોકપ્રિય ગીતો આપણને આજીવન યાદ રહેશે.