કચ્છ અને દુષ્કાળને કાયમી સંબંધ છે. અહીં દર દસ વર્ષે સાતેક વર્ષ અછતના હોય છે. કચ્છમાં માનવ વસતી કરતાં પશુ વસતી વધુ છે, વિસ્તાર મોટો છે. અછતના સમયમાં લોકોને રાહતરૂપ થવા માટે સરકાર દ્વારા અછતકામો અને પશુઓને જીવાડવા ઢોરવાડા, ઘાસડેપો ચલાવાય છે. જેવો પાંચ ઇંચ એટલે કે 125 મી.મી. વરસાદ પડે કે તરત જ અછતકામો, ઢોરવાડા અને ઘાસડેપો બંધ કરી દેવાય છે.
જો એકી સાથે પાંચ ઇંચ વરસાદ પડે તો નદી નાળામાં પાણી આવે અને સીમાડામાં ચારો ઉગે, પણ જો 15 કે 30 દિવસમાં છૂટોછવાયો પાંચ ઇંચ વરસાદ પડે તો પાણી જમીનમાં ઉતરી જાય, નદી નાળામાં પાણી આવતું નથી કે ઘાસ પણ ઉગતું નથી. આવી સ્થિતિમાં પણ સરકાર અછતના કામો અને ઢોરવાડા, ધાસડેપો બંધ કરી દે છે. જેના કારણે ગામડાંના લોકો અને પશુઓની હાલત કફોડી થાય છે.
આ વર્ષે ભુજ તાલુકામાં આવી જ હાલત છે. અહીં ભલે પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે પરંતુ તે ટુકડે ટુકડે પડ્યો છે. એટલે તાલુકાના મોટાભાગના નદી, તળાવો ખાલી છે. છતાં સરકાર દ્વારા પૂરતો વરસાદ થયો હોવાનું માનીને ઘાસડેપો અને ઢોરવાડા બંધ કરી દેવાયા છે.
સામાન્ય રીતે તાલુકામથકે પડેલા વરસાદને ગણતરીમાં લેવામાં આવે છે. પરંતુ અત્યારના સંજોગોમાં તો એક વિસ્તારમાં વરસાદ હોય અને તેનાથી એકાદ-બે કિ.મી.ના વિસ્તારમાં સાવ સુકું વાતાવરણ હોય છે. કચ્છમાં તો એક જ તાલુકાના બે ગામો પણ દૂર દૂર હોય છે ત્યારે બન્ને જગ્યાએ સરખો વરસાદ પડ્યો હોવાનું માની લેવાનું કેટલું યોગ્ય છે? ભુજના ખાવડા પંથકમાં સારો વરસાદ થયો છે પરંતુ ભુજ શહેર આસપાસના વિસ્તારમાં ખૂબ જ ઓછું પાણી વરસ્યું છે.
જે વરસ્યું છે તે પણ ટુકડે ટુકડે, એકાદ- બે દિવસના અંતરે. આથી આ વરસાદ ઉપયોગી બની શક્યો નથી. સરકારે આ જૂનો કાયદો બદલીને, જો એક સાથે પાંચેક ઇંચ વરસાદ પડે અથવા ટુકડે ટુકડે પણ વધુ વરસાદ પડે તો જ અછતને હટાવવાનો કાયદો ઘડવો જોઇએ. તો જ કચ્છના માલધારીઓ, ખેડૂતોની મુશ્કેલી હલ થઇ શકે તેમ છે.