કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે. અહી કુદરતે આહલાદક દ્રશ્યોની છૂટ્ટા હાથે ખેરાત કરી છે. કમનસીબે વર્ષોથી આ વિસ્તાર નફરત અને લોહીથી ખરડાયેલો રહ્યો છે. આ જ કારણે તેના પ્રવાસનમાં જોઈએ એવો વિકાસ થયો નથી. કલમ 370 રદ થવાથી સરકાર આ પ્રદેશમાં વિકાસ થશે તેવી ગણતરી રાખે છે પરંતુ 370 રદ થયાના બે મહિના વીતી ચુક્યા છે પણ આ પ્રદેશની જીવાદોરી સમાન પ્રવાસન ઉદ્યોગને જેને મરણતોલ ફટકો પડ્યો છે તે આગળ આવી રહ્યો નથી.
ભારતમાં હિંસા અને સમસ્યાઓથી ઘેરાયેલા જમ્મુ અને કાશ્મીરમાં તે ક્ષેત્રમાં સૌથી વધુ નાણા રળી આપતા પ્રવાસન ક્ષેત્રને મોટો ધક્કો લાગ્યો છે. કાશ્મીરમાં 370ની કલમ રદ કર્યા બાદ સરકાર તરફથી પ્રવાસન ક્ષેત્રને ફરી પાટે ચડાવવાનો સતત પ્રયાસ થઇ રહ્યો છે. કાશ્મીરના ખીણ વિસ્તારને 2 અઠવાડિયા બાદ પ્રવાસીઓ માટે ફરી ખોલવામાં આવ્યો હતો જો કે પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે.
ગુરુગ્રામની એક ટ્રાવેલ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે હોટલો ફક્ત 20% ભરાઈ છે. સરકાર દ્વારા સતત પ્રવાસી પર નિયમન રાખવામાં આવે છે જેને લીધે પણ પ્રવાસન ક્ષેત્રને નુકશાન પહોંચ્યું છે. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર જતા પ્રવાસીઓના બુકીંગમાં પણ 25% થી 30%નો ઘટાડો નોંધાયો છે. બુકીંગ તો ઠીક કાશ્મીરના પ્રવાસને લગતી તપાસ અને પૂછપરછમાં પણ 50%થી વધુનો ઘટાડો નોંધાયો છે. ઘણા બધા એડવાન્સ બુકીંગ કાશ્મીરની પરિસ્થિતિઓના પગલે રદ થઇ જતા તહેવારની સીઝનમાં જતા પ્રવાસીઓના પ્રવાહ પણ ઓછો થઇ ગયો હતો.
કાશ્મીરમાં જુલાઈમાં પ્રવાસી ઉપર નિયમન લાદવામાં આવતા વિમાનોની ટિકિટ્સના ભાવમાં 17 થી 20 ટકાનો વધારો નોંધાયો હતો જોકે ત્યાર બાદ શ્રીનગરની ફ્લાઈટ્સના ભાવ ઓક્ટોબર નવેમ્બરમાં 40% જેટલા ગગડી ગયા હતા.
આપેલ કોષ્ટકમાં દેશના મહાનગરોથી શ્રીનગર જતી ફલાઇટ્સના ભાવોની સરખામણી કરવામાં આવી છે.
મહિનો
દિલ્હીથી શ્રીનગર
(ભાવ રૂમાં)
મુંબઈ થી શ્રીનગર
(ભાવ રૂમાં)
બેંગ્લોર થી શ્રીનગર
(ભાવ રૂમાં)
કલકતા થી શ્રીનગર
(ભાવ રૂમાં)
ઓગસ્ટ
7,053
8,869
9,672
11,352
ઓક્ટોબર - નવેમ્બર
3,319
5,677
6,771
5,746
ઓગસ્ટ કરતા ઓક્ટોબર નવેમ્બરમાં નોંધાયેલો ઘટાડો ટકામાં
52%
35%
29%
49%
શ્રીનગરના એક નાગરિકે જણાવ્યું હતું કે તેણે હમણાં 3000 થી પણ ઓછા રૂપિયામાં દિલ્હીથી શ્રીનગરની ફ્લાઈટ બુક કરી હતી. આ ઉપરાંત તેણે નોંધ્યું કે ફ્લાઈટમાં 90%થી વધુ મુસાફરો CRPFના જવાનો હતા જે શ્રીનગર ફરજ બજાવવા માટે જઈ રહ્યા હતા.
નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરના અર્થતંત્રમાં પ્રવાસન ક્ષેત્રનો 8% જેટલો ફાળો છે. આ ઉપરાંત હસ્તકલા, કાપડ અને પરિવહન જેવા ઉદ્યોગો પણ પ્રવાસન પર નભે છે. 2017માં કાશ્મીરમાં 12 લાખ પ્રવાસીઓ આવ્યા હતા.
આ ક્ષેત્ર પ્રદેશમાં 10 લાખથી વધુ લોકોને રોજગારી પુરી પાડે છે. જો કે વર્ષોથી આ પ્રદેશની સળગતી પરિસ્થિતિને પગલે અહીં નયનરમ્ય નૈસર્ગિક દ્રશ્યો અને વિશિષ્ટ સભ્યતા હોવા છતાં પ્રવાસન તેની પૂર્ણ ક્ષમતાથી વિકસ્યું નથી.
કેમ પ્રવાસન વિકસી શક્યું નથી?
આ પ્રદેશ વિશ્વનો સૌથી સુંદર પ્રદેશ હોવા ઉપરાંત સૌથી વધુ સેન્ય ખડકાયેલો પ્રદેશ છે. અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક લડાઈઓ અને મોટા પાયાના યુદ્ધો લડાયા છે. સરહદીય તણાવ અને મોટા પ્રમાણમાં કર વેરાના પગલે પ્રવાસીઓ અહીં આવવું ટાળે છે.
1980 પછીની અલગતાવાદી ચળવળોના કારણે અહીં હિંસાનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત આતંકવાદીઓએ વારંવાર અહીં હુમલાઓ કર્યા છે જેના ડરથી પ્રવાસીઓ અહીં આવતા નથી. 370ની કલમ હટવાથી ધુંધાવાયેલા જૈશ એ મહોમ્મ્દના આંતંકવાદીઓએ ફરીથી એક વખત નાગરિકો અને પ્રવાસીઓ ઉપર હુમલો કરવાની ધમકી ઉચ્ચારી છે.
370ની કલામ હટ્યા બાદ પ્રદેશમાં હિંસા ન થાય એ માટે ઇન્ટરનેટ, મોબાઈલ કનેક્શન, ટેલિફોન લાઇન્સ વગેરે બંધ કરી દેવા હતા. જો કે આ લાઇન્સ ફરી એક વખત કનેક્ટ કરવામાં આવી રહી છે પણ તે મોટા પાયે સરકારના નિયંત્રણ હેઠળ છે. આ કારણથી પણ પ્રવાસન વિકસાવવું અઘરું બની ગયું છે.
પ્રવાસન ફરી જગાવવાનું આશાનું કિરણ
કેન્દ્ર સરકાર વડે બેક ટુ ધ વેલી નામનો કાર્યક્રમ શરુ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે જે અંતર્ગત કેન્દ્ર સરકારના કર્મચારી અને અધિકારીઓને LTC (leave travel concession) આપીને પરિવાર સાથે કાશ્મીરના પ્રવાસે જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
મુંબઈની એક ટ્રાવેલ કંપનીના અધિકારી તરફથી જાણવા મળ્યું હતું કે આવનાર તહેવારની ઋતુમાં અને શિયાળાની રજાઓમાં લોકોને હિમવર્ષાનું ભારે આકર્ષણ હોય છે જેથી ફરીથી કાશ્મીરના પ્રવાસની માંગમાં વધારો થશે તેવી શક્યતા રહેલી છે.