લાહોર-સ્પિતિ, કિન્નોર અને કુલુના આઉટર સિરાજમાં બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે. રહેણાક વિસ્તારોમાં એકથી દોઢ ફૂટ સુધી બરફ પડી ચૂક્યો છે. ૧૩,૦૫૦ ફૂટ ઊંચા રોહતાંગમાં ૯૦ સેમી, કોકસરમાં ૬૦ અને કેલાંગમાં ૩૦ સેમી સુધી બરફ વર્ષા થઇ છે.
ભારે હિમપાતથી હિમખંડ પડવાનો ખતરો પણ વધી ગયો છે. ચંબાના સલુણી-લંગેરા, ખજ્જીયાર, લક્કડમંડી સહિતના ક્ષેત્રોમાં વાહનોની અવરજવર પણ ઠપ છે. કેલાંગમાં લઘુતમ તાપમાન - ૧૧.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ૧૬ જાન્યુઆરીએ સમગ્ર પ્રદેશમાં યલો એલર્ટ જારી કરાયું છે. કુલુમાં ૧૯ જાન્યુઆરી સુધી ઓરેન્જ એલર્ટ જારી કહીને સહેલાણીઓને સંવેદનશીલ વિસ્તાર સુધી ન જવાની સલાહ અપાઇ છે.
બીજી તરફ વૈષ્ણોદેવી મંદિર બરફની ચાદરથી ઢંકાઇ ગયું છે. વૈષ્ણોદેવી મંદિરની આસપાસની ત્રિકૂટા પહાડીઓ અને મંદિર જવાના ટ્રેક પર ભારે બરફ વર્ષાના કારણે બરફની ચાદર છવાઇ ગઇ છે. વૈષ્ણોદેવી મંદિરના મુખ્ય ભવનની આસપાસ થયેલી બરફ વર્ષાના કારણે અહીં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલના દિવસોમાં રાતના સમયે મંદિરના મુખ્ય ભવનની આસપાસ તાપમાન ઝીરો ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. કટરા સહિત સમગ્ર જમ્મુ કશ્મીરમાં પડી રહેલી ઠંડીની વચ્ચે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં વૈષ્ણોદેવી મંદિરના દર્શન માટે જઇ રહ્યા છે.
અધિકારીઓનું કહેવું છે કે અલગ અલગ રાજ્યોમાં સ્કૂલોમાં પડેલી રજાઓના કારણે પણ અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી છે. કટરાના ત્રિકૂટા પર્વત પર આવેલા વૈષ્ણોદેવી મંદિરને ઉત્તર ભારતના પ્રમુખ દેવસ્થાનમાંથી એક માનવામાં આવે છે. મંદિર પ્રશાસનના અધિકારીઓના જણાવ્યા મુજબ સખત ઠંડીના કારણે મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે શ્રાઇન બોર્ડ તરફથી સુરક્ષાની વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત મંદિરના યાત્રા માર્ગ પર પણ એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા યાત્રીઓને જણાવાયું છે કે જો યાત્રા દરમિયાન તેમની તબિયત બગડે તો તેઓ નિઃશૂલ્ય ચિકિત્સકીય સહાયતા લઇ શકે છે.
વૈષ્ણોદેવી મંદિરની આસપાસ થઈ રહેલી બરફ વર્ષાની વચ્ચે શ્રદ્ધાળુઓને ભલે થોડી અસુવિધાનો સામનો કરવો પડતો હોય, પરંતુ ઠંડીની વચ્ચે સીઆરપીએફના જવાનો શ્રદ્ધાળુઓને સુરક્ષા અને સુવિધા માટે ડ્યૂટી પર લાગેલા છે. આ જવાનોની સુવિધા માટે મંદિર પરિસરમાં હિટર લગાવાયાં છે, જેથી તેમને ડ્યૂટીમાં કોઇ પરેશાની ન થાય.