કશ્મીરમાં થયેલી શિક્ષિકાની હત્યા મામલે વડોદરામાં વિદેશમંત્રી એસ. જયશંકરે નિવેદન આપ્યું હતું.
કશ્મીરમાં શિક્ષિકાની હત્યા બાદ વિદેશ મંત્રીનું નિવેદન
વડોદરામાં વિદેશમંત્રી એસ. જયશંકરે આપ્યું નિવેદન
સરકાર આતંકવાદ વિરૂદ્ધ પગલાં લેવામાં મક્કમ હોવાનો વિદેશમંત્રીનો દાવો
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કશ્મીરના કુલગામ જિલ્લામાં હિન્દુ શિક્ષિકાની હત્યાની ઘટના પ્રકાસમાં આવી હતી. આતંકવાદીઓએ રજનીબાલા નામના શિક્ષિકાને ગોળીઓ ધરબી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હડકંપ મચાવતી આ ઘટનાને ઠેર-ઠેરથી વખોડી કાઢવામાં આવી રહી છે. આ મામલે વડોદરા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા વિદેશમંત્રી એસ. જયશંકરે નિવેદન આપ્યું હતુ અને સરકાર કડક હાથે કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી.
સરકાર આતંકવાદ વિરૂદ્ધ પગલાં લેવા મક્કમ છે: એસ. જયશંકર
વડોદરા ખાતેના કાર્યક્રમમાં વિદેશમંત્રી એસ. જયશંકરે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, દેશમાં આતંકવાદ વિરોધી લડાઈ ચાલી રહી છે. અગાઉનો સમય અને સરકાર બંને હવે બદલાયા છે. પહેલાનો સમય જતો રહ્યો છે અને હવેની સરકાર આતંકવાદીઓને ઝડમૂળથી ઉખેડી ફેંકવાની દિશામાં કામગીરી કરી રહી છે. આતંકી પ્રવુત્તી અટકે તે માટે સરકાર કડક હાથે કાર્યવાહી કરશે. વધુમાં એસ. જયશંકરે ઉમેર્યું હતું કે, આતંકવાદએ વર્ષોથી ચાલતું દૂષણ છે જેને અટકાવવું અઘરું હોવા છતાં સરકાર તમામ પ્રયાસો કરી રહી છે અને આગામી દિવસોમાં સફળતા પણ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. દેશના અમુક પ્રાંતમાં વ્યાપેલા આતંકવાદને નાબૂદ કરવાની મોદી સરકારની નેમ છે અને આ સરકાર આતંકવાદ વિરૂદ્ધ પગલાં લેવામાં મક્કમ હોવાનો અંતમાં વિદેશમંત્રી એસ. જયશંકરે દાવો કર્યો હતો.
શુ હતો હત્યાનો સમગ્ર મામલો?
કશ્મીરના કુલગામ જિલ્લાના ગોપાલપોરામાં એક સરકારી શાળામાં રજનીબાલાને ફરજ સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેમના પર આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં ગોળીઓ વાગતા રજનીબાલા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આથી તેને તત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમને કાળ ભેટી જતા તેનું મોત નીપજ્યું હતું. જે અંગે ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. નોંધનિય છે કે 36 વર્ષીય રજનીબાલા મૂળ જમ્મુ વિભાગના સાંબા જિલ્લાનાં રહેવાસી હતાં અને સ્થળાંતરિત કશ્મીરી પંડિત હતાં. આ ઘટનાને પગલે પોલીસે હત્યારાઓને શોધી કાઢવા માટે આખો વિસ્તાર કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી.