પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. આ ઘટના પર લોકો પોત-પોતાની રીતે આક્રોશ વ્યકત કરી રહ્યાં છે. મોદી સરકાર આ હુમલાનો સણસણતો જવાબ આપવાની તૈયારી કરી રહી છે. એજન્સીઓએ વાતની પણ તપાસ થઈ રહી છે કે આખરે આપણાથી કયાં અને કેવી રીતે આટલી મોટી ચૂક થઈ ગઈ જેના કારણે આતંકીઓ આટલી મોટી ઘટનાને અંજામ આપવામાં સફળ મળી.
પુલવામામાં થયેલા હુમલામાં થયેલી ચુકને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે. આ ઘટનાક્રમ વચ્ચે મુફ્તી મોહમ્મદ સઈદની સરકારમાં લેવાયેલો એક નિર્ણય જવાબદાર મનાઈ રહ્યો છે. આ મામલે પહેલા પણ સેનાના વિશેષજ્ઞો વારંવાર ધ્યાન દોરતા રહ્યા હતા. તેમ છતા કોઈએ એ વાતનો દરકારકરી ન હતી. વર્ષ 2002 સુધી ભારતીય સેનાના કાફલાને જમ્મુ કશ્મીરમાં ખાસ સુરક્ષા પ્રદાન કરાતી હતી. જ્યારે પણ ભારતીય સુરક્ષાદળોનો કાફલો જમ્મુ અને કાશ્મીરમાં કોઈ સ્થળેથી પસાર થતો ત્યારે રસ્તાઓ ખાલી કરી નાખવામાં આવતા હતાં. સુરક્ષાદળોના કાફલા વચ્ચે કોઈ વાહન પ્રવેશી શકતુ ન હતુ. તેના માટે રસ્તાની બંને બાજુ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી નાખવામાં આવતી હતી. પરંતુ વર્ષ 2002-03માં તત્કાલિન મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદે એમ કહીને આ નિયમ હટાવી નાખ્યો હતો કે તેનાથી સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓ પડે છે. સુરક્ષાદળો પણ દેશના માન્ય નાગરિકો છે અને આવામાં કાફલાને અલગથી સુરક્ષા આપવાની કોઈ જરૂર નથી.
મુફ્તી મોહમ્મદ સઈદ સરકારે નિયમમાં ફેરફાર થયા બાદ સેનાના કાફલો કોઈપણ સુરક્ષા વગર જ જમ્મુ-કાશ્મીરના રસ્તાઓ પરથી પસાર થવા લાગ્યાં હતા. પુલવામામાં આતંકી હુમલામાં આ ખામી ઉડીને સામે આવી છે. અહીં જ્યારે સેનાનો કાફલો પસાર થઈ રહ્યો હતો. ત્યારે જૈશના ફિદાયીન હુમલાખોરે 100થી 200 કિલો વિસ્ફોટકો ભરેલી કાર CRPFની બસને ટક્કર મારી જેના કારણે 40 જવાનો શહીદ થયાં. જો જૂનો નિયમ લાગુ હોત તો કદાચ વિસ્ફોટકો ભરેલી કાર સેનાના કાફલા સુધી પહોંચી શકી ન હોત. પુલવામા જિલ્લામાં થયેલા હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પહોંચેલા ગૃહમંત્રી રાજનાથસિંહ સામે CRPFએ આ નિયમ ફરીથી લાગુ કરવાની માગણી કરી છે.