કાશી વિશ્વનાથ જ્ઞાનવ્યાપી મસ્જિદ કેસને લઈને કોર્ટે કમિશ્નર નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. નિયુક્ત કમિશ્નર 19 એપ્રિલે મંદિર-મસ્જિદ પરિસરમાં જશે અને વીડિયોગ્રાફી કરશે. કોર્ટે આ દરમિયાન સુરક્ષાદળો તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. જેથી કોઈ અપ્રિય ઘટના ન ઘટે.
વારાણસી જિલ્લા કોર્ટે સપ્ટેમ્બર 2020માં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. આ અરજીમાં પરિસરને હિંન્દુઓને સોંપવાની માગ કરવામાં આવી હતી. અરજીકર્તાઓએ પરિસરનું નિરીક્ષણ કર્યું, રડાર અધ્યયન કર્યું અને વીડિયોગ્રાફી માટે કોર્ટ પાસેથી આદેશ માગ્યો હતો. અરજીકર્તાએ દાવો કર્યો છે કે, પરિવારને હિન્દુ દેવતાઓને પાછુ સોંપવામાં આવે. તેના પર સુનાવણી કરતા કોર્ટે કમિશ્નર નિયુક્ત કર્યા છે.
શું છે વિવાદ
જ્ઞાનવ્યાપી મસ્જિદને લઈને હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે આ વિવાદીત ઢાંચા નીચે જ્યોતિર્લિંગ છે. એટલુ જ નહીં દિવાલો પર દેવી દેવતાઓના ચિત્ર પણ છે. દાવો કરવામાં આવ્યો છે કે, કાશી વિશ્વનાથ મંદિરને ઔરંગજેબને 1664માં તોડી પાડ્યું હતું. બાદમાં તેના અવશેષમાંથી મસ્જિદ બનાવી, જેને મંદિરની જમીનના એક ભાગ પર જ્ઞાનવાપસી મસ્જિદ તરીકે માનવામાં આવે છે.
પ્રતિવાદી પક્ષ અંજૂમન ઈંતજામિયા મસાજિદ કમિટી અને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ તરફથી દાખલ કરવામાં આવેલા પ્રતિવાદી પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે, અહીં વિશ્વનાથ મંદિર ક્યારેક હતુ જ નહીં અને ઔરંગજેબ બાદશાહે તેને ક્યારેય તોડ્યુ નથી. જ્યારે મસ્જિદ અનંત કાળથી અહીં છે. તેમણે પોતાના એફિડેવિટમાં એવું પણ માન્યું છે કે, કમ સે કમ 1669થી આ ઢાંચો એમને એમ છે.
કોર્ટમાં પહોંચ્યો મામલો
કાશી વિશ્વનાથ જ્ઞાનવ્યાપી મામલે 1991માં વારાણસી કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ. આ અરજી દ્વારા જ્ઞાનવાપીમાં પૂજાની મંજૂરી માગવામા આવી. પણ થોડા દિવસ બાદ મસ્જિદ કમિટિએ પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટ 1991નો હવાલો આપીને તેને હાઈકોર્ટમાં પડકાર આપ્યો. ઈલાહાબાદ હાઈકોર્ટે 1993માં સ્ટે લગાવીને ઘટનાસ્થળ પર યથાસ્થિતિ કાયમ રાખવાનો આદેશ આપ્યો. જો કે, સ્ટે ઓર્ડરની સમયસીમા પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી અને નિર્ણય બાદ 2019માં વારાણસીની કોર્ટે ફરીથી આ મામલાની સુનાવણી શરૂ કરી. હાલમાં કેટલીય કોર્ટમાં આ વિવાદને લઈને કેસ દાખલ થયા છે. જેના પર સુનાવણી ચાલી રહી છે.