વારાણસીમાં કાશી વિશ્વનાથ કૉરિડોર પરિયોજનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કરી છે. ત્યારે અમદાવાદની PSP પ્રોજેક્ટ લિમિટેડ કંપની દ્વારા આ કોરિડોર બનાવવામાં આવ્યો છે.
કાશી વિશ્વનાથ કોરિડોરનો પ્રોજેક્ટ કરનાર ગુજરાતી
PSPના ડિરેક્ટર પ્રહલાદ પટેલને મળ્યો હતો પ્રોજેક્ટ
માત્ર એક વર્ષની ડેડલાઈનમાં પૂર્ણ કરવાનું હતું કાર્ય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ થઈ ગયું છે. અને હવે ભક્તો માટે કાશી વિશ્વનાથ કોરિડોર ખુલ્લો મુકવામાં આવ્યો છે. કાશિ વિશ્વનાથની કાયાપલટનું સ્વપ્ન તો નરેન્દ્ર મોદીએ જોયું હતું. પણ તેને ગુજરાતના પ્રહલાદ પટેલે સાકાર કર્યું છે. પ્રહલાદ પટેલને આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. તેઓ PSP કંપનીના ચેરમેન અને એમ.ડી. છે. તો પરિયોજનાના આર્કિટેક વિમલ પટેલ છે. ત્યારે હવે આ પ્રોજેક્ટ અંગે પ્રહલાદ પટેલે VTV સાથે ખાસ વાતચીત કરી હતી.
પ્રહલાદ પટેલે 1 વર્ષની ડેડલાઈનમાં આ કાર્ય કરી બતાવ્યું છે. મુશ્કેલભર્યું કાર્ય કરીને કાશી વિશ્વનાથ કોરીડોરને તૈયાર કરી બતાવ્યો છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટમાં દરરોજ 1500થી 1700 કારીગરો કામ કરતા હતા. જોકે છેલ્લા 3 મહિનામાં 2700 કારીગરોને કામે લગાડવામાં આવ્યા હતા.
1 વર્ષની ડેડલાઈનમાં આ કાર્ય પૂર્ણ કરવાના પડકારને મેં સ્વીકાર્યોઃ પ્રહલાદ પટેલ
પ્રહલાદ પટેલે જણાવ્યું કે, કોરિડોર પીએમ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હતો. પીએસ પટેલ એકથી દોઢ વર્ષથી જોડાયેલા હતા. કાશી વિશ્વનાથનો પ્રોજેક્ટનું ટેન્ડરમાં ક્વોલિફાય થયા હતા. 2019માં કામ મળ્યું, 2020 જાન્યુઆરીમાં ઓર્ડર મળ્યો, પછી 2021 માર્ચમાં કોરોના આવ્યો, તેમ છતા ટાઇમ લાઇન ઓગસ્ટમાં પૂર્ણ થતી હતી. પરંતુ ઉત્તરપ્રદેશમાં કોરોનાને લઇને દરેક પ્રોજેક્ટને ટાઇમ લાઇન વધારી અપાઇ હતી. જૂલાઈમાં નક્કી થયું કે આ પ્રોજેક્ટને ડિસેમ્બરમાં જ પૂર્ણ કરવો તે પડકાર મેં સ્વીકાર્યો. ત્યારે બધાને એવું લાગતું હતું કે આ બહુ અઘરૂ કામ હતું. પરંતુ મેં સંકલ્પ કર્યો હતો કે આ કામ કરવું છે એટલે કરવું જ છે. મારી સિનિયર ટીમ મહેશભાઇ, મૌલિકભાઇને ત્યાં રાખ્યા હતા અને હું પણ ત્યાં જતો હતો. આ પડકારજનક પ્રોજેક્ટ હતો, જે શક્ય નહોતો લાગતો તે પૂર્ણ કર્યો.
સૌથી મોડો પડકાર શું હતો?
પ્રહલાદ પટેલે જણાવ્યું કે, આ પ્રોજેક્ટની સૌથી મોટી ચેલેન્જ એ હતી કે, મંદિરનો ટાઇમિંગ 12થી 4 જ બંધ હોય, તેવી રીતે પ્લાનિંગ કરવું પડે છે રાત્રે મટિરીયલ આવે અને દિવસે કામ થાય. આખા મંદિર કોરિડરમાં બિલ્ડિંગ બનાવ્યા છે, મંદિરો સાચવ્યા, સહિતના પડકારો હતો. કાશીની સાંકડી ગલીમાં માલસામાન પહોંચાડવો અને નિર્માણકાર્ય કરવું ઘણું મુશ્કેલ હતું. દરરોજના હજારો ભક્તો મંદિરે દર્શને આવતા હતા.
પરિયોજનાના આર્કિટેક વિમલ પટેલે શું કહ્યું...
600 કરોડ રૂપિયાના ખર્ચે આકર્ષક કાશી વિશ્વનાથ કોરિડોર તૈયાર કરાયું છે. જેના આર્કિટેક પણ ગુજરાતી વિમલ પટેલ છે. ત્યારે વિમલ પટેલે જણાવ્યું હતું કે, સાઇટને વિકસિત કરતા સમયે મંદિરની મૂળ સંરચના સાથે કોઈ છેડછાડ નથી કરવામાં આવી. પરિયોજનામાં મંદિર ચોક, વારાણસી સિટી ગેલેરી, સંગ્રહાલય, સભાખંડ, હૉલ, ભક્ત સુવિધા કેન્દ્ર, સાર્વજનિક સુવિધા, મોક્ષ ગૃહ, ભોજનશાળા, પુજારીઓ અને સેવકો માટે આશ્રય, આધ્યાત્મિક પુસ્તક સ્થાન અને અન્ય નિર્માણ સામેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 13 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ ધામનું પહેલા તબક્કાનું ઉદ્ધાટન કર્યું છે. પોતાના મતવિસ્તારમાં આવ્યા બાદ મોદી કાળ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરી અને ગંગા નદીમાં ડુબકી લગાવી. તેઓ ત્યાંથી પવિત્ર ગંગાજળ લઇને ભગવાન શિવનો જળાભિષેક કરવા માટે કાશી વિશ્વનાથ મંદિર આવ્યા. ત્યારે આ કાશી વિશ્વનાથ ધામ પરિયોજના અંદાજિત 5 લાખ વર્ગ ફૂટ ફેલાયેલી છે અને ગંગા નદીને કાશી વિશ્વનાથ મંદિરથી જોડે છે અને આ સિવાય શ્રદ્ધાળુઓ માટે કેટલીક સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને દેશભરના સાધુ-સંતો પણ હાજર રહ્યા હતા.