કાશી-મહાકાલ એક્સપ્રેસ ટ્રેનમાં ભગવાન શિવ માટે છોડવામાં આવેલી એક બેઠક (મંદિર) પર ઉભા થયેલા વિવાદ બાદ હવે શિવ મંદિરને પેન્ટ્રીકારમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. આજે ટ્રેનના કોમર્શિયલ રન દરમિયાન ટ્રેનના સ્ટાફે પેન્ટ્રીકારમાં પૂજા-અર્ચના કરી.
કાશી-મહાકાલ એક્સપ્રેસ ટ્રેનમાં ભગવાન શિવ માટેની એક બેઠક પર થયો હતો વિવાદ
વિવાદ બાદ હવે શિવ મંદિરને પેન્ટ્રીકારમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે
આજે ટ્રેનના કોમર્શિયલ રન દરમિયાન ટ્રેનના સ્ટાફે પેન્ટ્રીકારમાં પૂજા-અર્ચના કરી
હાલમાં જ કાશી-મહાકાલ એક્સપ્રેસ ટ્રેનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલીઝંડી દેખાડવામાં આવી હતી. એ સમયે સામે આવ્યું હતું કે કાશી-મહાકાલ એક્સપ્રેસની બેઠક નંબર 64 પર ભગવાન મહાકાલ (શિવ)નું મંદિર બનાવવામાં આવ્યું છે.
ટ્રેનની બેઠક પર શિવનું મંદિર બનાવવાની વાત સામે આવ્યા બાદ આ મુદ્દા પર રાજનીતિ ગરમાઇ હતી. હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ધર્મનિરપેક્ષતાનો હવાલો આપતા તેના પર સવાલ ઉઠાવ્યા હતા.
વિવાદ ઉભો થયા બાદ આ મામલામાં IRCTCએ કહ્યું હતું કે આ વ્યવસ્થા કાશી-મહાકાલ એક્સપ્રેસના ઉદઘાટન યાત્રા સુધી જ હતી. રેલવેની આ યોજના સફળ રહે તેના માટે ભગવાન શિવ માટે એક બેઠક રિઝર્વ કરવામાં આવી હતી. જોકે હવે શિવ મંદિરને પેન્ટ્રીકારમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, વારાણસીથી ઇંદોરની વચ્ચે 20 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી કાશી-મહાકાલ એક્સપ્રેસમાં 8 અલગ-અલગ તીર્થસ્થળો માટે પેકેજ પણ હશે.