કોરોના વાયરસે લોકોને પરેશાન કરી દીધા છે. બધાંની ચિંતા વધી ગઈ છે. દિલ્હીમાં જે સ્પીડે કોરોનાના કેસ વધી રહ્યાં છે, તે ખૂબ જ ચિંતાજનક છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ દીપિકા સિંહે તેની માતાના ઈલાજ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી મદદ માટે અપીલ કરી હતી, ત્યારે હવે સીરિયયલ 'કસૌટી જિન્દગી કી' ફેમ એક્ટ્રેસ ચારવી સરાફે દિલ્હીની હોસ્પિટલની હાલત જણાવી છે.
ટીવી સીરિયયલ 'કસૌટી જિન્દગી કી'માં શિવાની (પ્રેરણાની બહેન)ની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ ચારવી સરાફે એક ઓપન લેટર શેર કરતા દિલ્હીમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા અંગેનો અનુભવ શેર કર્યો છે. તેણે જણાવ્યું- કેવી રીતે તેને ટેસ્ટ કરાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તેણે જણાવ્યું- ત્યાં કોઈપણ મદદ કરવા માટે તૈયાર થતું નથી. ચારવીને કોરોના ટેસ્ટ કરાવવો હતો પરંતુ દિલ્હીમાં ટેસ્ટ કરાવવો કેટલો મુશ્કેલ છે તેને ખબર નહોતી. તેણે આગળ કહ્યું- મેં વર્ષોથી અમારું ઈલાજ કરી રહેલાં ડોક્ટરોને ફોન કર્યો, પણ તેમની પાસે કોવિડ-19 ટેસ્ટની કિટ જ નથી. ત્યારબાદ મેં કેટલાક ખાનગી હોસ્પિટલોનો સંપર્ક કર્યો પણ તેમણે પણ ટેસ્ટની સુવિધા ન હોવાનું જણાવ્યું.
ચારવીએ કહ્યું-મારી હાલત એવી નહોતી કે હું હોસ્પિટલ જઈ શકું. મેં સરકારી હોસ્પિટલમમાં ફોન કર્યો તો મને વાયરલ થયો હશે એવું કહીને ફેમિલી ડોક્ટરની સલાહ લેવાનું કહ્યું. પછી મેં કોરોના હેલ્પલાઈન પર કોલ કર્યો તો ત્યાં પણ એવું કહ્યું કે, તે આગામી સપ્તાહ સુધી બુક છે. હું એકદમ નિરાશ થઈ ગઈ હતી. ચારવીએ કહ્યું- કોરોનાના લક્ષણો દેખાતા 5 દિવસ થઈ ગયા છે પરંતુ હું ટેસ્ટ નથી કરાવી શકી રહી. વિચારો ગરીબ લોકોનો શું હાલ થઈ રહ્યો હશે.
અભિનેત્રીએ દિલ્હીમાં આ અવ્યવસ્થા અંગે અધિકારીઓ અને દિલ્હી સરકારને સવાલ કર્યા છે. તેણે કહ્યું, હું એક અભિનેત્રી છું અને હું બીજા બધાંની જેમ નિયમિત જીવન જીવું છું. મને ફક્ત એક કોવિડ પરીક્ષણની જરૂર છે જેથી મારો પરિવાર અને મને ખબર પડે કે અમે સુરક્ષિત છીએ કે નહીં. આ સમાચાર દરરોજ સત્યને ઉજાગર કરી રહ્યા છે, જ્યારે સરકાર જરૂરથી વધારે ટેસ્ટ કિટ હોવાના દાવા કરી રહી છે.
ચારવીએ કહ્યું કે, પહેલા હું આવા સમાચારને અફવા માનતી હતી, પરંતુ હવે મને ખાતરી થઈ ગઈ છે. તેણે કહ્યું કે, હવે મને સમજાઈ નથી રહ્યું કે, દિલ્હી સરકાર લોકોને કઈ રીતે મદદ કરશે. કેટલાક લોકો એવા છે જેમનામાં લક્ષણો હોવા છતાં ટેસ્ટ કરાવી નથી શકી રહ્યાં. જ્યારે મારા જેવા લોકો જે પરીક્ષણ કરવા માંગે છે, પરંતુ સવાલ એ છે કે શું સરકાર અને હોસ્પિટલોને આપણા જેવા લોકોની કોઈ ચિંતા છે?