'કસૌટી ઝિંદગી કી' ના અનુરાગ એટલે કે પાર્થ સમથાન માટે અત્યારે ઘણો કપરો સમય ચાલી છે. તેના પિતાનું ગુરુવારે રાત્રે જ હોસ્પિટલમાં અવસાન થઇ ગયુ હતુ. રિપોર્ટ્સ અનુસાર, પાર્થ એ સમયે 'કસૌટી.. નું શૂટિંગ કરી રહ્યો હતો અને તેના પિતાના સમાચાર મળતા તે પૂને જવા માટે નીકળી ગયો હતો.
તમને જાણીને નવાઈ લાગશે કે પિતાના દેહાંતના બે જ દિવસ બાદ એટલે 21 એપ્રિલ પાર્થ કસૌટીના સેટ પર શૂટિંગ કરવા હાજર રહ્યો હતો. પિતાની અંતિમ ક્રિયા બાદ કામ પ્રત્યેના કમિટમેન્ટને કારણે પાર્થ શૂટિંગ માટે આવી ગયો હતો.
સેટ પર રહેલા સૂત્રોનુસાર, ''પાર્થ આખો દિવસ ગુમસુમ બેઠો રહ્યો અને તેણે પોતાના ભાગનું શૂટિંગ પતાવ્યુ હતુ. તે પોતાના પિતાથી ખૂબ જ ક્લોઝ હતો અને આથી જ તેને આઘાતમાંથી ઉગરતા થોડો સમય લાગશે.''
ઉલ્લેખનીય છે કે પિતા હોસ્પિટલમાં હતા ત્યારે પાર્થ મુંબઈમાં શૂટિંગમાં વ્યસ્ત હતો. તે પિતા પાસે પહોંચી શકે તે પહેલા જ તેના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા અને પાર્થ તેના પિતાને છેલ્લી વખત મળી પણ શક્યો ન હતો. તેણે થોડા સમય પહેલા જ મુંબઇમાં પોતાનું ડ્રીમ હોમ ખરીદ્યુ હતુ અને તેના ચાહકો સાથે આ ખુશખબરી શૅર કરી હતી. તેણે એમ પણ લખ્યુ હતુ કે, ''આ તેની તેના માતા-પિતા માટે ભેટ છે. અફસોસ કે તેના પિતા આ ખુશી જોવા લાંબુ ન રહ્યા.''