ભારત સરકારે દાવો કર્યો છે કે, કરતારપુર સાહિબ કોરિડોર પર ભારત તરફથી લગભગ 45 ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ત્યારે પાકિસ્તાન તરફથી નક્કી કરવામાં આવેલ ડેડલાઇન મુજબ કામ ચાલી રહ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન તરફથી આ પ્રોજેક્ટને લટકાવવામાં આવી રહ્યો છે. ભારત સરકારની યોજના દ્વારા આ પ્રોજેક્ટનું કામ 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
પાકિસ્તાને બનાવ્યો માત્ર સિઝનલ રોડ
ગૃહમંત્રાલયના સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ ભારત ઇચ્છે છે કે, પાકિસ્તાન પોતાના હિસ્સામાં આવેલ ઓલ વેધર રોડ બનાવે, પરંતુ પાકિસ્તાને માત્રને માત્ર સિઝનલ રોડ જ બનાવ્યો છે. ભારત સરકારે પાકના આ પ્રકારના વલણ સામે વાંધો લીધો છે.
પંજાબમાં પુરનો ખતરો
આ રોડ પરના બ્રિજનું કામ ભારત ડેડલાઇન મુજબ પુરુ કરવા માગે છે. પાકિસ્તાન પોતાના તરફથી બ્રિજ બનાવવા માંગતું નથી. સૂત્રો દ્વારા મળેલ જાણકારી મુજબ જો આ બ્રિજ નહીં બને તો પંજાબના કેટલાક વિસ્તારોમાં પુર આવવાની પરિસ્થિતી સર્જાઇ શકે છે.
ગત નવેમ્બર માસમાં કોરિડોર મામલે સધાઇ છે સહમતિ
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવેમ્બર મહિનામાં ભારત અને પાકિસ્તાન કરતારપુરના ગુરૂદ્વારા દરબારા સાહિબને ગુરદાસપુરમાં આવેલા ડેરા બાબા નાનક ગુરૂદ્વારા સાથે જોડવા માટે કોરિડોર બનાવવાની સહમતિ સધાઈ હતી. પાકિસ્તાન સ્થિત કરતારપુરમાં જ શિખ ધર્મના પ્રવર્તક ગુરૂ નાનક દેવે દેહ ત્યાગ કર્યો હતો. કરતારપુર સાહિબ પાકિસ્તાનના નારોવલ જીલ્લામાં રાવી નદીના પેલે કિનારે આવેલું છે. આ ડેરા બાબા નાનક ગુરૂદ્વારાથી 4 કિલોમીટર દૂર આવેલું છે.
કોરિડોરનું ભારત-પાકના દિગ્ગજોએ કર્યો શિલાન્યાસ
આપને જણાવી દઇએ કે, 26 નવેમ્બર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે ગુરૂદાસપુરમાં કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. તેના 2 દિવસ બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને લાહોરથી 125 કિલોમીટર દૂર નરોવલમાં કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો.