કરતારપુર કોરિડોડને લઈને પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવેલી કમિટીમાં અનેક ખાલિસ્તાન અલગાવવાદીઓને સામેલ કરાયા છે. જેને લઈને ભારતે આકરૂ વલણ અપનાવ્યું છે. આ મામલે ભારતે પાકિસ્તાન પાસે સ્પષ્ટતા માગી છે અને જવાબ ન મળે ત્યા કરતારપુર કોરિડોરને લઈને બંને દેશો વચ્ચે આગામી તબક્કાની વાતચીત નહીં થાય.
ભારતે આજે પાકિસ્તાનના ઉપ ઉચ્ચાયુક્તને સમન પાઠવીને કરતારપુર પેનલમાં ખાલિસ્તાનીઓની હાજરીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ભારતે પાકિસ્તાનના ઉપ ઉચ્ચાયુક્ત સઈદ હૈદર શાહને સ્પષ્ટ કહ્યું કે, કરતારપુર સાહિબ કોરિડોરને શરૂ કરવાને લઈને અટારી ખાતે યોજાયેલી ગત બેઠકમાં નવી દિલ્હીએ જે કંઈ પણ પ્રસ્તાવ રજૂ કર્યા હતાં, તેના પર ઈસ્લામાબાદ પોતાનું વલણને સ્પષ્ટ કરે.
વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે પાકિસ્તાને કહ્યું કે, કોરિડોરના નિયમોને લઈને બંને દેશો વચ્ચે યોજાનારી બેઠક પાકિસ્તાન તરફથી જવાબ મળ્યા બાદ જ કોઈ યોગ્ય સમયે આયોજીત થઈ શકે છે. બંને દેશો વચ્ચે આગામી તબક્કા પર વાતચીત પર વાઘા બોર્ડર પર 2 એપ્રિલે યોજાવવાની હતી. કોરિડોર માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ઝડપી બનાવવા માટે ભારત એપ્રિલ મહિનાના મધ્યાંતરમાં ટેક્નિકલ નિષ્ણાતોની એક અન્ય બેઠનો પણ પ્રસ્તાવ રજુ કર્યો છે જેથી કરીને જે કોઈ પણ મુદ્દે મતભેદ છે, તેનો સરળતાથી ઉકેલ લાવી શકાય.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવેમ્બર મહિનામાં ભારત અને પાકિસ્તાન કરતારપુરના ગુરૂદ્વારા દરબારા સાહિબને ગુરદાસપુરમાં આવેલા ડેરા બાબા નાનક ગુરૂદ્વારા સાથે જોડવા માટે કોરિડોર બનાવવાની સહમતિ સધાઈ હતી. પાકિસ્તાન સ્થિત કરતારપુરમાં જ શિખ ધર્મના પ્રવર્તક ગુરૂ નાનક દેવે દેહ ત્યાગ કર્યો હતો. કરતારપુર સાહિબ પાકિસ્તાનના નારોવલ જીલ્લામાં રાવી નદીના પેલે કિનારે આવેલું છે. આ ડેરા બાબા નાનક ગુરૂદ્વારાથી 4 કિલોમીટર દૂર આવેલું છે.
26 નવેમ્બર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે ગુરૂદાસપુરમાં કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. તેના 2 દિવસ બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને લાહોરથી 125 કિલોમીટર દૂર નરોવલમાં કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. હવે આ મામલે ખાલિસ્તાન અલગાવવાદીઓને સામેલ કરતા મામલો બિચક્યો છે.