કરતારપુર સાહિબ ગુરુદ્વારા માટે ભલે પાકિસ્તાન 9 નવેમ્બરથી કોરિડોર ખોલવાની વાત કરી રહ્યું છે. પરંતુ એ પહેલા હવે તેણે રજિસ્ટ્રેશન ફીના નામે અડંગો લગાવ્યો છે. ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુર માટે રવિવારે ઓનલાઇન રજિસ્ટ્રેશનની શરૂઆત થવાની હતી. પરંતુ પાકિસ્તાન હજુ પણ 20 ડોલર ફી વસૂલવાની વાત કહી રહ્યું છે. ત્યારે ભારતે તેના પર વાંધો ઉઠાવ્યો છે.
પાકિસ્તાને રજિસ્ટ્રેશન ફી તરીકે 20 ડોલર વસૂલવાની વાત કરી રહ્યું છે
અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાન દરેક તીર્થયાત્રી પાસેથી 20 ડોલર એટલે કે લગભગ 1400 રૂપિયાની ફી વસૂલવા માંગે છે. આશા દર્શાવાઇ રહી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોરને લઇને તમામ મુદ્દા પર શનિવારે સહમતિ બનાવી લેવાશે. પરંતુ આવું ન થઇ શક્યું. એક અધિકારીએ જણાવ્યું, 'હાલ ઘણા મુ્દ્દાઓ પર સહમતિ બની શકી નથી, તેથી રવિવારથી ઓનલાઇન રજિસ્ટ્રેશનની શરૂઆત થઇ શકી નથી.'
પાકિસ્તાન સાથે જે મુદ્દાઓ પર હજુ સુધી સહમતિ બની શકી નથી, તેમા કરતારપુર સાહિબના દર્શનની ટાઇમિંગ અને ફી સામેલ છે. ભારતે પાકિસ્તાનથી પ્રતિ યાત્રાળુ 20 ડોલરની ફી વસૂલવાને લઇને એક વાર ફરી વિચાર કરવા કહ્યું છે. આ ઉપરાંત દરેક દિવસે 10,000 યાત્રાળુઓને દર્શન કરવાની મંજૂરી આપવાની માંગ કરી છે.
આ વચ્ચે પાકિસ્તાન પીએમ ઇમરાન ખાને 9 નવેમ્બરથી કરતારપુર કોરિડોર ખોલવા અંગે એલાન કર્યું છે. આ કોરિડોર કરતારપુરના દરબાર સાહિબને પંજાબના ગુરુદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક ધર્મસ્થળથી જોડશે. તેના કારણે ભારતીય શ્રદ્ધાળુઓ વિઝા મુક્ત જઇ શકશે. શ્રદ્ધાળુઓને કરતારપુર સાહિબ જવા માટે બસ એક પરમિટ લેવી પડશે.