અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના મંદિરે કર્ણાવતીનગરના બોર્ડ લગાવવામાં આવ્યાં. આથી ફરી વાર આ વિવાદ ઉઠે તેવી શક્યતા છે.
અમદાવાદ કે કર્ણાવતીનગરના નામનો વિવાદ વધ્યો
ભ્રદ્રકાળીના મંદિરે લાગ્યા કર્ણાવતીનગરના બોર્ડ
છેલ્લાં ઘણા સમયથી ચાલી રહ્યો છે આ વિવાદ
એકવાર ફરી અમદાવાદનું નામ 'કર્ણાવતી' કરવા માંગ ઉઠી રહી હોય તેવાં દ્રશ્યો સર્જાયા. કારણ કે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના મંદિરે કર્ણાવતીનગરના બોર્ડ લગાડવામાં આવ્યા છે. એટલે કે અમદાવાદ કે કર્ણાવતી નગરના નામનો વિવાદ ફરીવાર વધ્યો. મહત્વનું છે કે, છેલ્લાં ઘણા સમયથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવા પર વિવાદ ચાલી રહ્યો છે.
અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની સતત માંગ ઉઠી રહી છે
એવું માનવામાં આવી રહ્યું છે કે, પહેલાં અમદાવાદનું નામ કર્ણાવતી હતું અને સમાજ તરીકે આપણે હંમેશા આપણા ઈતિહાસને ફરીથી પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરતા રહીએ છીએ. આથી બસ આ જ કારણ છે કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ઉઠી રહી છે.
તમને વધુમાં જણાવી દઇએ કે, ભાજપના શાસનકાળમાં છેક વર્ષ 1990માં અમદાવાદનું નામ બદલીને 'કર્ણાવતી' કરવાનો ઠરાવ કરાયો છે, પરંતુ તત્કાલીન સત્તાધીશો માત્ર કાગળ પર ઠરાવ કરી તેને હકીકતમાં અમલમાં મૂકવાની હિંમત દાખવી શક્યા નથી. જો કે અમદાવાદના નામકરણનો મામલો જ્યારે પણ ગરમાય છે ત્યારે કેટલાંક લોકો શહેરનું નામ 'આશાવલ' રાખવાનો પણ આગ્રહ રાખે છે.
ઘણી વખત અમદાવાદનું નામ બદલીને શહેરનું નામ 'કર્ણાવતી' કરવાની માંગ ઉઠી છે. પરંતુ હજુ સુધી તેનું નામકરણ થયું નથી. જો કે, કેટલાંક લોકોનો એવો પણ આગ્રહ છે કે આ શહેરનું નામ 'અમદાવાદ' જ રહેવું જોઈએ. જ્યારે કેટલાંક લોકો અમદાવાદનું નામ 'આશાવલ' રહેવું જોઇએ.
જાણો શું છે અમદાવાદનો ઇતિહાસ?
તમને જણાવી દઇએ કે, અમદાવાદની આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. તે વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના ભીલ રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને 'કર્ણાવતી' નામના શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.
સોલંકી વંશનું રાજ 13મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા વંશના હાથમાં આવ્યું. સન 1411માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી.
ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે (મૂળ નામ: નાસીરુદીન અહમદશાહ) પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું.