કર્ણાટકમાં ભાજપના મુખ્યમંત્રી બદલાય તેવી અટકળો વચ્ચે ભાજપના જ એક મંત્રીએ પોતે મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હોવાની જાહેરાત કરી દીધી છે.
કર્ણાટકમાં ભાજપ માટે નવી ચેલેન્જ
યેદૂરપ્પાને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવે તેવી સંભાવના
નવા મુખ્યમંત્રીની રેસમાં કોણ આગળ?
કર્ણાટકમાં મોટાં ફેરફારો થવાની સંભાવના
કર્ણાટકમાં ભાજપ માટેર નવું મજબૂત નેતૃત્વ શોધવું માથાનાં દુખાવા સમાન બની શકે છે. વર્તમાન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા માટે યોગ્ય વિકલ્પ મેળવવાના ચાલુ પ્રયાસોમાં પક્ષ મૂંઝવણમાં મુકાય તેવી સંભાવનાઓ વચ્ચે પાર્ટીના આઠ વખતના ધારાસભ્ય ઉમેશ કટ્ટી, કે જેઓ હાલમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન પણ છે, તેમણે કહ્યું છે કે તેઓ પોતે મુખ્ય પ્રધાન બનવા તૈયાર છે અને જો પાર્ટી તેમને ઉચ્ચ પદે બેસાડવા તૈયાર હોય તો તેઓ આ જવાબદારી ઉપાડવા સજ્જ છે.
હું મુખ્યમંત્રી બનવા ઈચ્છું છું: કટ્ટી
તેમણે કહ્યું હતું કે, "મારી લાંબી રાજકીય કારકીર્દિમાં એક પણ કાળો દાગ નથી. જો પાર્ટી હાઈકમાન્ડ અને લોકો મને આશીર્વાદ આપે તો હું મુખ્ય પ્રધાન બનવા ઇચ્છુ છું. સાથે તેમણે કહ્યું હતું કે પરંતુ દુર્ભાગ્યવશ, મુખ્યમંત્રીની બેઠક હજુ સુધી મુક્ત નથી." .
સોમવારે બેલાગવીમાં પ્રેસ કોન્ફરન્સમાં કટ્ટીએ કહ્યું હતું કે, જો મુખ્યમંત્રી પદ ખાલી પડે તો તેઓ આ પદ પર આરુઢ થવા તૈયાર છે.
હુકેરી વિધાનસભા ક્ષેત્રના લોકોના આશીર્વાદ મારી સાથે છે એવું કહેતાં તેમણે ઉમેર્યું હતું કે તેઓ અત્યાર સુધીમાં આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં રાજ્યના ચાર જુદા જુદા મંત્રીમંડળમાં મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમણે ઉમેર્યું, "મેં વર્ષોથી કરેલા કાર્યો જોતાં મારામાં મુખ્યમંત્રી બનવાની બધી ક્ષમતા છે. '
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ મંત્રી અગાઉ એક ખેડૂતને ઓડિયોન ક્લિપમાં "તો મરી જાઓ" એવું કહેતાં સાંભળવામાં આવ્યા હતા.