કોંગ્રેસે યેદિયુરપ્પા સરકાર પર સાધ્યું નિશાન, બરતરફ કરવાની કરી માંગણી
ભાજપ તમામ બેઠકો જીતશે તેવો છે વિશ્વાસઃ યેદિયુરપ્પા
મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ બળવાખોર ધારાસભ્યોને પેટા ચૂંટણી લડવાની મંજૂરી આપવાના સર્વોચ્ચ અદાલતના નિર્ણયને આવકાર્યો છે. યેદિયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 5 ડિસેમ્બરની પેટા ચૂંટણીમાં ભાજપ તમામ 15 બેઠકો જીતી લેશે. તેમણે કહ્યું કે, સર્વોચ્ચ અદાલતનો ચુકાદો પૂર્વ વક્તા અને સિદ્ધારમૈયાના કાવતરા વિરુદ્ધ આવ્યો છે. ગેરલાયક ધારાસભ્યોએ પણ આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી હતી. જેડીના ધારાસભ્ય એએચ વિશ્વનાથે કહ્યું કે, આ નિર્ણય અમારા માટે ખૂબ મહત્વનો છે. અમે તેનું સ્વાગત કરીએ છીએ. આ સિવાય અન્ય ધારાસભ્યોએ પણ આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસે સાધ્યું યેદિયુરપ્પા સરકાર પર નિશાન
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્વીકાર કર્યું છે કે ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવું યોગ્ય છે. એવામાં ભાજપનું ઓપરેશન કમલ પણ કારગત નીવડ્યું નહીં. તેમણે કહ્યું કે, યેદિયુરપ્પા સરકાર કાયદો અને બંધારણની દ્રષ્ટિએ ગેરકાયદેસર સરકાર છે અને તેને તાત્કાલિક બરતરફ કરવામાં આવે. સુરજેવાલાએ આ સમગ્ર મામલામાં ભાજપના નેતૃત્વની ભૂમિકાની પણ તપાસની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, આ કાળા નાણાં ક્યાંથી આવ્યા, તેની તપાસ થવી જોઈએ, યેદિયુરપ્પાની ટેપની પણ તપાસ થવી જોઇએ.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે આપ્યું આ નિવેદન
બીજી તરફ કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે કહ્યું કે, "જો ભાજપમાં થોડી નૈતિકતા બાકી છે, તો આ બળવાખોર ધારાસભ્યોને ટિકિટ ન આપો." પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે અમે ચુકાદાને આવકારીએ છીએ. ટોચની કોર્ટે સ્વીકાર્યું કે જે બન્યું તે ખોટું હતું અને લોકોનો વિશ્વાસ બરબાદ થયો.
પૂર્વ સ્પીકરે લીધો રાહતનો શ્વાસ
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર કેઆર રમેશ કુમારે રાહતનો શ્વાસ લીધો. કુમારે કહ્યું કે મેં 10મી અનુસૂચિના આધારે રાજકીય અને સંવૈધાનિક નૈતિકતાનું માન રાખીને ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા હતા. આ સાથે સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.