કર્ણાટકમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ બાદ આજે વિધાનસભાની કાર્યવાહી આવતી કાલે સવારે 11 વાગ્યા માટે સ્થગિત કરી દેવામાં આવી છે.જ્યારે પ્રદેશ બીજેપી અધ્યક્ષ અને પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ કહ્યું કે બીજેપીના તમામ ધારાસભ્યો ગૃહમાં જ સુઇ જશે. તમામ ભાજપ ધારાસભ્યો અહીં જ રહેશે.
છેલ્લા ઘણા દિવસોથી કર્ણાટકમાં ગઠબંધન સરકાર પર રાજકીય સંકટ તોળાઇ રહ્યું છે. આજે ગુરુવારે કર્ણાટકમાં દિવસ દરમિયાન અવિશ્વાસ મત પર ચર્ચા યોજાઇ હતી. કર્ણાટક સંકટ પર વિધાનસભામાં અવિશ્વાસ મત યોજાવાના હતા પરંતુ વિધાનસભાની કાર્યવાહી આવતી કાલ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ છે. એટલે કે આજે વિશ્વાસ મત પર વોટિંગ નહીં થઇ શકે. બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ દાવો કરી રહી છે કે તેમની પાસે બહુમત છે. જ્યારે આંકડો બતાવી રહ્યો છે કે બીજેપી હાલ જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનથી આગળ નજરે પડી રહી છે.
કોંગ્રેસના એચકે પાટિલે કહ્યું કે રાજ્યપાલે ભલે નિર્દેશ ન મોકલ્યા હોય, બની શકે છે કે આ એક ખોટો મેસેજ મોકલવામાં આવ્યો હોય, જોકે વિધાનસભામાં હસ્તક્ષેપ માટે તે પૂરતુ છે. રાજ્યપાલે ગૃહની કાર્યવાહીમાં હસ્તક્ષેપ ન કરવો જોઇએ.
કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ છે. ત્યારે પ્રદેશ બીજેપી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુપ્પાએ કહ્યું કે બીજેપીના તમામ ધારાસભ્યો ગૃહમાં જ સુઇ જશે. જ્યાં સુધી વિશ્વાસ મત પર નિર્ણય નથી લેવાઇ જતો, અમે દિવસ અને રાત્રી ગૃહમાં જ રહીશું. તમામ ધારાસભ્યો અહીં જ રહેશે.
વિશ્વાસ મતમાં વિલંબ કરવાનો આરોપ
બીજેપીના સીટી રવિએ કહ્યું કે અમે રાજ્યપાલની મુલાકાત કરી અને જણાવ્યું કે કેવી રીતે વિશ્વાસ મત પર વોટિંગ મામલે વિલંબ કરવામાં આવી રહ્યો છે. સરકાર બચાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. ધારાસભ્યોને કિડનેપ કરવાનો આરોપ ખોટો છે. તે ધારાસભ્યો છે, કોઇ બાળક નહીં.