કર્ણાટકના વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશ કુમારે 17 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા છે. અયોગ્ય કરાર કરાયા બાદ ધારાસભ્યો હવે સ્પીકરના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે. જ્યારે સ્પીકર રમેશ કુમારના નિર્ણયને ભાજપે ગેરકાનૂની અને અલોકતાંત્રિક બતાવ્યો છે.
કર્ણાટકના સ્પીકરે 25 તારીખે 3 અને રવિવારે 14 ધારાસભ્યોને અયોગ્ય કરાર કર્યા હતા. જે પૈકી ત્રણ ધારાસભ્યો રમેશ જરકિહોલી, મહેશ કુમથલ્લી અને આર. શંકર સોમવારે સુપ્રીમ કોર્ટમાં જશે. આ ઉપરાંત રવિવારે અયોગ્ય કરાર કરવામાં આવેલ 14 ધારાસભ્યો પણ સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. આ દરમિયાન બીજેપી નેતા એ એસ પાટિલ નદહલ્લીએ કહ્યું કે 'સ્પીકરનો નિર્ણય ગેરકાનૂની અને અલોકતાંત્રિક છે. ધારાસભ્યોએ તેમની (સ્પીકર) મુલાકાત લીધી અને રાજીનામુ આપ્યું. તેમના હસ્તાક્ષર સ્વૈચ્છિક અને વાસ્તવિક હતા. કર્ણાટકની રાજનીતિ માટે આ એક કાળો દિવસ છે.'
કર્ણાટક રાજકારણ પર બીજેપી નેતા શોભા કરંદલાજે કહ્યું 'સ્પીકરનો નિર્ણય અસંવૈધાનિક છે. આ લોકતંત્ર માટે ખતરનાક છે અને દેશમાં આજ સુધી આવો ખોટો નિર્ણય કોઇએ નથી લીધો. સ્પીકરે આવો નિર્ણય કેમ કર્યો અને કોના દબાવ હેઠળ લીધો ? અમારી કોઇપણ ધારાસભ્યો સાથે વાતચીત નથી થઇ.'
જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું, '14 ધારાસભ્યોને અયોગ્ય કરાર કરવાના સ્પીકરના નિર્ણયનું હું સ્વાગત કરું છું. તેમનો આ પ્રમાણિક નિર્ણય દેશના એ તમામ જનપ્રતિનિધિઓ માટે એત સંકેત હશે જે બીજેપીની જાળમાં ફંસાઇ શકે છે.'
સ્પીકરે 14 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરી
કર્ણાટકમાં રવિવારે તમામ 14 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરાઇ. સ્પીકર કે આર રમેશ કુમારે કોંગ્રેસના 11 બળવાખોર ધારાસભ્યો અને જેડીએસના 3 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરવાનું એલાન કર્યું. બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરવાના નિર્ણય બાદ સ્પીકર રમેશ કુમારે કહ્યું કે મેં કોઇ ચાલાકી કે ડ્રામા નથી કર્યો, યોગ્ય રીતે નિર્ણય લીધો છે.
સ્પીકર કે આર રમેશ કુમારે કોંગ્રેસના બેરાઠી બસવરાજ, મુનિરત્ન, એસટી સોમેશેખર, રોશન બેગ, આનંદ સિંહ, એમટીબી નાગરાજ, બીસી પાટિલ, પ્રતાપ ગૌડા પાટિલ, ડૉ. સુધાકર, શિવરામ હેબ્બાર, શ્રીમંત પાટિલને અયોગ્ય કરાર આપ્યા. આ ઉપરાંત જેડીએસના ત્રણ બળવાખોર ધારાસભ્યો કે.ગોપાલૈયા, નારાયણ ગૌડા, એ એચ વિશ્વનાથને અયોગ્ય ઠેરવ્યા. આ પહેલા કર્ણાટકના સ્પીકર કે આર રમેશ કુમારે 3 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. આજે 14 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા બાદ હવે કુલ મળી 17 ધારાસભ્યોને અયોગ્ય કરાર કરવામાં આવી ચૂક્યા છે. સ્પીકર રમેશ કુમારના આ નિર્ણય બાદ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 207 બચી છે. એટલે કે બહુમત માટે 105 જાદુઇ આંકડો રહેશે.
લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય નાટક બાદ ગુરુવારે કર્ણાટક વિધાનસભાના સ્પીકરે ત્રણ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય કરાર કર્યા છે. આ ધારાસભ્યોમાં આર. શંકર, રમેશ જરકિહોલી અને મહેશ કુમથલ્લીના નામ છે. બાકી 14 ધારાસભ્યોના રાજીનામા પર સ્પીકર રમેશ કુમારે કહ્યું હતું કે, 'મારી પાસે ઘણી ફરિયાદ છે, મને નિર્ણય માટે વધુ સમય જોઇએ છે. આવા મામલામાં અધ્યયન કરવું પડે છે.' બાદમાં રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી સ્પીકર રમેશ કુમારે બાકી 14 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.
બીએસ યેદિયુરપ્પા (B S Yeddyurappa) મંગળવારે શક્તિ પરીક્ષણ બાદ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પડી ગયા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે પાર્ટી હાઇકમાનના નિર્દેશોની રાહ જોઇ રહ્યા હતા. જગદીશ શેટ્ટાર, અરવિન્દ લિમ્બાવલી, જે સી મધુસ્વામી, બાસવરાજ બોમ્મઇ અને યેદિયુરપ્પાના પુત્રી વિજયેન્દ્ર સહિત કર્ણાટક ભાજપ નેતાઓના એક સમૂહે ગુરુવારે નવી દિલ્હીમાં પાર્ટી પ્રમુખ અમિત શાહની મુલાકાત કરી અને સરકાર બનાવવા પર ચર્ચા કરી હતી. કુમારસ્વામીના નેતૃત્વ વાળી 14 મહીના જુની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર વિધાનસભામાં વિશ્વાસ મત હાર્યા બાદ મંગળવારે પડી ગઇ હતી. આ સાથે રાજ્યમાં ત્રણ સપ્તાહ ચાલી રહેલા રાજકીય સત્તા સંઘર્ષ પર વિરામ લાગી ગયો.