કર્ણાટક વિધાનસભાનું નાટક અંતે પૂર્ણ થયું છે. કુમારસ્વામી સરકારે વિશ્વાસ મત ગુમાવ્યો છે. JDS અને કોંગ્રેસના સમર્થનમાં માત્ર 99 મત પડતાં સરકાર પડી ગઈ છે. જ્યારે યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપમાં 105 મત પડતાં ભાજપનો વિજય થયો છે.કોંગ્રેસે વધુ એક રાજ્યમાં સરકાર ગુમાવી છે.
23 દિવસથી કર્ણાટકમાં ચાલી રહેલાં હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે મંગળવાર મોડી સાંજે અંતે આવ્યો છે. કર્ણાટક વિધાનસભમાં વર્તમાન મુખ્યમંત્રી કુમારસ્વામીએ માત્ર 99મત મળતાં વિશ્વાસ મત ગુમાવ્યો છે. જ્યારે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપને 105 મત મળ્યા હતાં.
કોંગ્રેસે સતા ટકાવી રાખવા JDSના ઓછા ધારાસભ્ય હોવા છતાં મુખ્યમંત્રી પદ આપીને કર્ણાટકમાં કરેલાં 1 વર્ષનું રાજ હવે પૂર્ણ થયું છે. ભાજપના સમર્થનમાં 105 મત મળતાં સમગ્ર વિધાનસભા ગૃહમાં યેદિયુરપ્પા સહિતના નેતાઓમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.
જાણો શું રહ્યો ઘટનાક્રમ..?
કુમારસ્વામીનું 'ફેક' રાજીનામું થયું વાયરલ
કર્ણાટક રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે આજેપણ સદનમાં બહુમત પરીક્ષણની પ્રક્રિયા પૂરી થવાની આશા દેખાઇ રહી નથી. આ તમામ ઉથલપાથલ વચ્ચે કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામીનું રાજીનામું સામે આવ્યું છે. વિધાનસભામાં કુમારસ્વામીના ટેબલ પર તેમનું રાજીનામું જોવા મળ્યું છે. જો કે, આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયે ખુલાસો કરતા કહ્યું કે,આ રાજીનામું ફેક છે.
ભાજપના ધારાસભ્યોએ આખી રાત પસાર કરી ગૃહમાં
ગૃહની કાર્યવાહી સ્થગિત થતાં પહેલા, ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ જાહેરાત કરી કે તેમની પાર્ટીના સભ્ય આખી રાત ગૃહમાં જ રહેશે અને વિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય થાય ત્યાં સુધી ગૃહમાં જ રહેશે. ગુરુવાર રાત્રે યેદિયુરપ્પા સહિત તમામ નેતા ગૃહમાં જ ઊંઘી ગયા. ભાજપના ધારાભ્યોનું ઊંધવાનું, ડિનર અને શુક્રવારે સવારે મોર્નિંગ વોક પણ સંસદમાં જ થયું.
ધારાસભ્યોએ ખખડાવ્યા સુપ્રીમના દ્વાર
પહેલા 10 ધારાસભ્યોએ પોતાનું રાજીનામુ મંજૂર કરવામાં વિલંબને લઇને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. બાદમાં 5 વધુ ધારાસભ્યોએ આ અરજી લઇને સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા હતા. આજે તમામ 15 ધારાસભ્યોની અરજી પર એક સાથે સુનાવણી કરવામાં આવશે. સ્પીકરે રાજીનામા પર નિર્ણય લેવા પર સુપ્રીમ કોર્ટ પાસેથી સમય માંગ્યો છે.
અત્યાર સુધીમાં 3 વખત ધારાસભ્યોને સાચવવાની આવી નોબત
કર્ણાટકની રાજકીય કટોકટી માટે ભાજપ જેટલાં જ જવાબદાર કોંગ્રેસ અને જેડીએસ પણ છે. તેમના ગઠબંધનની નબળાઈનો જ લાભ ભાજપે અત્યાર સુધી ઉઠાવ્યો છે. મે-ર૦૧૮ની ચૂંટણીનાં પરિણામથી લઈને અત્યાર સુધીમાં ગઠબંધને ત્રણ વખત પોતાના ધારાસભ્યને કબજામાં રાખવાની નોબત આવી છે. ચાર એવા પ્રસંગો આવ્યા જ્યારે સરકારની અસ્થિરતા સાબિત થઈ ગઈ અને ગઠબંધનના નેતાઓએ અનેક વાર ખૂલીને અસંતોષ અને વિદ્રોહના સૂર છેડ્યા.
ધારાસભ્યોએ ધરી દીધા રાજીનામા
કર્ણાટકના રાજકારણમાં એકસાથે અનેક ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા સરકાર હાલક-ડોલક થવા લાગી હતી. સરકાર પડવાની બીકથી બાકી રહેલા ધારાસભ્યોને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
યેદિયુરપ્પા સરકાર ભ્રષ્ટાચારને કારણે પડી હતી
નોંધનીય છે કે, ભાજપની યેદિયુરપ્પા સરકાર આ પહેલા ભ્રષ્ટાચારને કારણ પડી હતી. જો કે ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 104 બેઠકો મળી હતી, જે બહુમતીથી નવ બેઠક દૂર હતી. કોંગ્રેસની બેઠકો 122 થી ઘટીને 78 થઈ ગઈ હતી અને જેડીએસને 36 બેઠક મળી હતી, જે બાદમાં 37 થઈ હતી.
કોંગ્રેસની સરકારને જનતાએ જાકારો આપ્યો હોવાથી અને સૌથી મોટો પક્ષ હોવાના નાતે ભાજપના યેદિયુરપ્પાએ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો અને 17 મે, 2018ના રોજ મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા. બાદમાં જોકે તેમની બહુમતી સાબિત ન થઈ શકી અને તેમણે રાજીનામું આપી દેવું પડ્યું.