કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પર જોવા મળી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપમાં આંતરિક વિવાદ સામે આવી રહ્યું હોવાના એક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવાને લઇને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કલહ શરૂ થઇ ગયો છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટી જેડીએસને મુખ્યમંત્રી પદની ઓફર કરી રહ્યું છે. જ્યારે ભાજપના કેટલાંક નેતાઓ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને પાર્ટીમાં સામેલ કરવાનો વિરોધ કરી રહ્યાં છે.
આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ મુરલીધર રાવે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીના નજીકના અને પર્યટન મંત્રી આર. મહેશ સાથે મુલાકાત કરી. જો કે જયારે આ મુલાકાતનો મામલો બહાર આવ્યો ત્યારે મુરલીધર રાવે આ અંગે ખુલાસો કર્યો.
મુરલીધર રાવે જણાવ્યું કે જેડીએસના મંત્રી આર. મહેશ સાથે કોઇપણ પ્રકારની ચર્ચા કરવામાં આવેલી વાતમાં કોઇ હકીકત નથી. સાર્વજનિક સ્થાન પર એકસાથે મળવું તે એક સંયોગની વાત છે. અટકળોને વાત પર ભરોસો કરવો નહીં.
ઉલ્લેખનીય છે કે કર્ણાટક કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને લઇને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પર સંકટ જોવા મળી રહ્યું છે. જો કે કર્ણાટક વિધાનસભાના સ્પીકરે કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર નેતાઓના રાજીનામાંનો સ્વીકાર કર્યો નથી.