સુપ્રીમ કોર્ટે કર્ણાટક હિજાબ કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે. દસ દિવસની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.
કર્ણાટક હિજાબ કેસમાં ચુકાદો અનામત
SC નક્કી કરશે હિજાબ પ્રતિબંધનો આદેશ
હિજાબ પ્રતિબંધ માત્ર વર્ગ પૂરતો મર્યાદિત છે
સુપ્રીમ કોર્ટે કર્ણાટક હિજાબ કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે. દસ દિવસની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે કર્ણાટકમાં હિજાબ પ્રતિબંધનો આદેશ સાચો છે કે નહીં. 10 દિવસની સુનાવણી બાદ જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાની બેન્ચે હિજાબ વિવાદ પર સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખવાની જાહેરાત કરી હતી.
જસ્ટિસ હેમંત ગુપ્તા 16 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે
ખંડપીઠે કહ્યું કે અત્યારે પણ જેમને લેખિત દલીલો આપવાની છે તે આપી શકે છે. ચર્ચાનો અંત કરતા સંજય હેગડેએ એક શાયરી સાથે કર્યો. એમને શોખ છે તમને વગર પડદે જોવાનો તમને શરમ આવતી હોય તો પોતાની આંખો આડે હાથ રાખી દો. જસ્ટિસ હેમંત ગુપ્તા 16 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે તે પહેલા હિજાબ પ્રતિબંધ અંગે નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે.
શૈક્ષણિક સંસ્થા પોતાનો ગણવેશ નક્કી કરી શકે છે
આ પહેલા કર્ણાટક સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે હિજાબ પ્રતિબંધ વિવાદમાં કોઈ "ધાર્મિક પાસા"ને સ્પર્શ કર્યો નથી અને આ પ્રતિબંધ માત્ર વર્ગ પૂરતો મર્યાદિત છે. રાજ્ય સરકારે કહ્યું કે વર્ગખંડની બહાર શાળાના પરિસરમાં પણ હિજાબ પર પ્રતિબંધ નથી. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યએ માત્ર એટલું જ કહ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે ગણવેશ નક્કી કરી શકે છે, જેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.
શાળાની બહાર હિજાબ પહેરવા પર પ્રતિબંધ નથી
કર્ણાટકના એડવોકેટ જનરલ પ્રભુલિંગ કે નવદગીએ જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાની ખંડપીઠને જણાવ્યું હતું કે ફ્રાન્સ જેવા દેશોએ હિજાબ પર પ્રતિબંધ મૂક્યો છે અને ત્યાંની મહિલાઓ પણ ઓછી ઇસ્લામિક બની નથી. નવદગીએ કહ્યું કે જ્યાં સુધી એવું બતાવવામાં ન આવે કે હિજાબ પહેરવું એ ધાર્મિક પ્રથાનો ફરજિયાત અને આવશ્યક ભાગ છે, ત્યાં સુધી બંધારણની કલમ 25 હેઠળ રક્ષણ મેળવી શકાતું નથી. "અમે શાળાની બહાર હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા નથી... શાળાના પરિસરમાં પણ કોઈ પ્રતિબંધ નથી. પ્રતિબંધ ફક્ત વર્ગખંડની અંદર જ છે, "તેમણે જણાવ્યું હતું.