કોરોના વાયરસ કેસની સંખ્યામાં થઈ રહેલા તીવ્ર વધારાના કારણે વધુ એક રાજ્યમાં પ્રતિબંધો કડક કરવામાં આવ્યા છે, કર્ણાટકમાં ઘણા શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે.
કોરોનાના કેસ વધતાં સરકારનો નિર્ણય
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય
એકસાથે 11 શહેરોમાં નાઈટ કર્ફ્યૂની જાહેરાત
કોરોનાના કારણે કર્ણાટકમાં રાજધાની બેંગાલુરુ સહિત 11 શહેરોમાં નાઇટ કર્ફ્યુની ઘોષણા કરવામાં આવી છે. જો આંકડા તરફ જોવામાં આવે તો શુક્રવારે કોરોનાના 7,955 નવા કેસ આવ્યા હતા અને 46 લોકો સંક્રમણના લીધે મૃત્યુ પામ્યા હતા.
નવો નિર્ણય શનિવારથી અમલી
કર્ણાટકમાં કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે, રાજધાની બેંગલુરુ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શનિવાર રાતથી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. 11 શહેરોમાં આ નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યા છે. આ સમય દરમિયાન જરૂરી સેવા સાથે સંકળાયેલા લોકો, દર્દીઓ વગેરેને જ આવનજાવનની અનુમતિ રહેશે.
રાત્રે 10 થી સવારે 5 સુધી કર્ફ્યુ
રાજ્ય સરકારે બેંગાલુરુ, મૈસુરુ, મંગલુરૂ, કાલબૂર્બી, બિદર, તુમ્કુરુ અને ઉદૂપી-મણિપાલ સહિતના શહેરોમાં 10 થી 20 એપ્રિલ સુધી દરરોજ રાત્રે 10 થી સવારના 5 દરમિયાન નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે. સરકારે કહ્યું કે આ ઉપરાંત અન્ય મોટા શહેરો અને જિલ્લા મુખ્યાલયમાં પણ કર્ફ્યુ લાગુ થશે. રાત્રે નિયમોનું પાલન થાય તે માટે પોલીસે વિસ્તૃત વ્યવસ્થા કરી છે.
આ લોકોને જો કે મંજૂરી આપવામાં આવશે
બેંગાલુરુના પોલીસ કમિશનર કમલ પંતે જણાવ્યું હતું કે લોકો, દર્દીઓ અને તેમના સબંધીઓને જરૂરી સેવાઓ સાથે જોડાયેલા વાહનોને રાત્રે મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત સવારે વેચાયેલી શાકભાજી અને ખાદ્ય ચીજો જેવી હોમ ડિલિવરી, ઇ-કોમર્સ અને આવશ્યક ચીજવસ્તુઓના પરિવહનને પણ મંજૂરી આપવામાં આવશે. પંતે કહ્યું હતું કે, 'બેંગ્લોર આવતા-જતા મુસાફરોને પણ મુસાફરી કરવાની છૂટ છે. ફક્ત તેઓએ તેમની સાથે ટ્રાવેલ ડોક્યુમેન્ટ રાખવાનું રહેશે.
'અમે રાત્રે શહેર બંધ કરીશું'
આ સિવાય રાત્રે કામ કરતી કંપનીઓ પણ કામ ચાલુ રાખી શકે છે, પરંતુ તેમના કર્મચારીઓને રાત્રે 10 વાગ્યા પહેલા કામ પર પહોંચવાનું રહેશે. પંતે કહ્યું, "અમે રાત્રે શહેર બંધ કરીશું." જ્યારે વાહનોના ટ્રાફિક માટે વિશેષ પાસ ઇસ્યુ કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે કમિશનરે કહ્યું કે પાસ આપવાનો કોઈ સવાલ નથી. તેમણે ચેતવણી આપી હતી કે જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમના પર મહામારી અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે.