કર્ણાટકમાં એચડી કુમારસ્વામી સરકારનુ શું થશે? આ સવાલનો જવાબ આજે દરેક લોકોને મળી શકે છે. વિધાનસભામાં ચાલી રહેલ વિશ્વાસ મત પ્રસ્તાવ પર ચર્ચા આજે ખતમ થઇ શકે છે. એવામાં કુમારસ્વામી સરકાર પોતાની સરકાર બચાવી શકશે કે નહીં, તેની પર દરેક લોકોની નજર છે. ત્યારે સ્પીકરે એક નિવેદન આપતા કહ્યું કે, ભલે અડધી રાત થાય પરંતુ વિશ્વાસના મત જ્યાં સુધી પસાર ન થાય ત્યાં સુધી સદનની કાર્યવાહી ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારે ગઠબંધન સરકારને બહુમત સાબિત કરવા માટે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. તેમનું કહેવું છે કે, તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે. વિધાનસભા સ્પીકરે એ વાત પણ જણાવી કે 16 બળવાખોર ધારાસભ્ય જો સદનમાં ન પહોંચે તે તેમને ગેરહાજર માનવામાં આવશે.
જો કે, ભારે ઉથલપાથલ બાદ પણ હજી સુધી કોઇ નિર્ણય આવી શક્યો નથી. જો કે, વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશ કુમાર કહ્યું કે ફ્લોર ટેસ્ટ થયાં બાદ જ સદનની કાર્યવાહી ભંગ કરવામાં આવશે.
આ પહેલા કર્નાટકના સંકટમોચન તરીકે જાણીતા બનેલા મંત્રી ડીકે શિવકુમારે ગઠબંધન સરકારને બચાવવા માટે છેલ્લો દાવ ચલાવ્યો છે. બળવાખોર ધારાસભ્યોને રાજી કરવા માટે મુખ્યમંત્રી કુમારસ્વામીના સ્થાન પર કોઇ અન્યને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
ડીકે શિવકુમારનું કહેવું છે કે, જેડીએસ સરકાર બચાવવા માટે કોઇપણ પ્રકારનો ત્યાગ કરવા તૈયાર છે. એટલું જ નહીં એચડી કુમારસ્વામીની પાર્ટી કોંગ્રેસની તરફેણમાં પણ કોઇને મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર છે.
સિદ્ધારમૈયા રાજ્યની કમાન સંભાળશે તો તે રાજીનામું પરત ખેંચાશે
જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપવાનું શરૂ કર્યું હતું ત્યારથી સરકાર સંકટમાં આવી ગઈ હતી. તે સમયે 4 ધારાસભ્યોએ કહ્યું હતું કે જો સિદ્ધારમૈયા રાજ્યની કમાન સંભાળશે તો તે રાજીનામું પરત ખેંચી લેશે અને સરકારને સમર્થન આપશે. આમ શિવકુમારનું આ નિવેદન સરકાર બચાવી શકે છે કે પછી સરકાર પડી જશે તે તો ફ્લોર ટેસ્ટ બાદ જ જાણી શકાશે.