કર્ણાટકમાં એક ડઝનથી વધારે ધારાસભ્યોએ રાજીનામા ધરી તે 13 માસ જુની કોંગ્રેસ-JDS ના ગઠબંધનવાળી સરકારને બચાવવાના અંતિમ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સોમવારના રોજ મંત્રીમંડળમાં ફેરફાર કરવા અને અસંતુષ્ઠોને તેમાં સ્થાન આપવાને લઇને કોંગ્રેસે પોતાના મંત્રીઓ પાસેથી સ્વેચ્છાએ રાજીનામાં લઇ લીધા છે. નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરના નિવાસ સ્થાને યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયા તથા કોંગ્રેસના મહાસચિવ સી વેણુગોપાલે ભાગ લીધો હતો અને આ બેઠક બાદ મુખ્યમંત્રી એચ ડી કુમાર સ્વામીએ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે વાતચીત કરી હતી.
મુંબઇથી ગોવા જવા રવાના ધારસભ્યો
કર્ણાટક કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો મુંબઇથી ગોવા રવાના થયા છે. અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે જ છે. હાલ તમામ ગોવા જઇ રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ નેતા ડી કે શિવકુમાર ધારાસભ્યોને પાછા લાવવા માટે મુંબઇ રવાના થયા છે.
કર્ણાટકમાં એક પછી એક ઘણા ધારાસભ્યોના રાજીનામા આપવાથી કોંગ્રેસ-JDS ગઠબંધન સરકાર સંકટમાં મુકાઇ છે. સોમવારે એટલે કે આજે અપક્ષ ધારાસભ્ય નાગેશે મંત્રી પદે થી રાજીનામુ આપ્યું. બાદમાં કોંગ્રેસના તમામ 21 મંત્રીઓએ પણ મંત્રી પદ છોડી દીધું છે. એઆઇસીસી મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસના મંત્રીઓએ સ્વેચ્છાએ રાજીનામુ આપ્યું છે. મંત્રીમંડળમાં ફેરબદલને લઇને નિર્ણય પાર્ટી પર છોડી દેવો જોઇએ.
વિપક્ષ ધારાસભ્યનું રાજીનામું
આપને જણાવી દઇએ કે, કોંગ્રેસ-જેડીએસના 13 ધારાસભ્યોએ પોતાના પદેથી રાજીનામા ધરી દીધા છે. તથા આજરોજ(સોમવાર) વધુ એક નિર્દળીય ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે. જો આ રાજીનામાં મંજૂર થાય છે તો કર્ણાટક વિધાનસભામાં સભ્યોની સંખ્યાં 209 રહે છે. એવામાં બહુમતિ માટે 105 ધારાસભ્યોની જરૂર પડે છે. ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યાં હવે 103 થઇ છે. આ સ્થિતિમાં ભાજપની પાસે 105 ધારાસભ્યોનું પીઠબળ છે.