એક સમય હતો જ્યારે દેશની રાજનીતિ ઉચ્ચ સિદ્ધાંતો અને આદર્શોને વરેલી હતી તથા નેતાઓને પ્રજા ભગવાનના રૂપે નિહાળતી હતી, પરંતુ સતત વધતી જતી સત્તાની ભૂખ અને લાલસાએ રાજનીતિને એ હદે અપવિત્ર કરી દીધી છે કે લોકોનો રાજકીય પક્ષોમાંથી ભરોસો ઊઠતો જાય છે.
કર્ણાટકનું સમગ્ર રાજનૈતિક દૃશ્ય આમ તો બહુ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ તેને અસ્વાભાવિક કહેવું યોગ્ય નહીં ગણાય. ભાજપ વિધાનસભામાં સૌથી મોટો પક્ષ છે. આ માટે તેના પર એ આરોપ લગાવવો સહેલો છે કે તે કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારના પતન અને પોતાની સરકાર બનાવવા માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ તો સ્પષ્ટપણે જણાવી દીધું છે કે અમે સાધુ-સંન્યાસી નથી. તેનો સીધો અર્થ એ થયો કે જો મોકો મળશે તો સરકાર રચવાની કોશિશ કરવામાં આવશે જ, ભલે પછી તેના માટે રાજનીતિના નિયમો અને સિદ્ધાંતો બાજુએ કેમ ન મૂકવા પડે.
કર્ણાટકની રાજકીય કટોકટી માટે ભાજપ જેટલાં જ જવાબદાર કોંગ્રેસ અને જેડીએસ પણ છે. તેમના ગઠબંધનની નબળાઈનો જ લાભ ભાજપે અત્યાર સુધી ઉઠાવ્યો છે. મે-ર૦૧૮ની ચૂંટણીનાં પરિણામથી લઈને અત્યાર સુધીમાં ગઠબંધને ત્રણ વખત પોતાના ધારાસભ્યને કબજામાં રાખવાની નોબત આવી છે. ચાર એવા પ્રસંગો આવ્યા જ્યારે સરકારની અસ્થિરતા સાબિત થઈ ગઈ અને ગઠબંધનના નેતાઓએ અનેક વાર ખૂલીને અસંતોષ અને વિદ્રોહના સૂર છેડ્યા.
હકીકતમાં જે પરિસ્થિતિમાં કુમારસ્વામીના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બની તેમાં જ અસંતોષ, વિદ્રોહ, અભદ્રતા, અસ્થિરતાનાં બીજ રોપાયાં હતાં. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૦૪ બેઠકો મળી હતી, જે બહુમતીથી નવ બેઠક દૂર હતી. કોંગ્રેસની બેઠકો ૧રરથી ઘટીને ૭૮ થઈ ગઈ હતી અને જેડીએસને ૩૬ બેઠક મળી હતી, જે બાદમાં ૩૭ થઈ હતી.
કોંગ્રેસની સરકારને જનતાએ જાકારો આપ્યો હોવાથી અને સૌથી મોટો પક્ષ હોવાના નાતે ભાજપના યેદિયુરપ્પાએ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો અને ૧૭ મે, ર૦૧૮ના રોજ મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા. બાદમાં જોકે તેમની બહુમતી સાબિત ન થઈ શકી અને તેમણે રાજીનામું આપી દેવું પડ્યું. ત્યારબાદ વિપક્ષી એકતાના જોર પર કુમારસ્વામી સીએમ બની ગયા હતા.
સરકાર બની ત્યારથી જ ભાજપે સતત કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યને તોડવાની કોશિશ ચાલુ કરી દીધી હતી અને તેઓ ‘મિશન લોટસ’માં મહદંશે સફળ પણ રહ્યા હતા. એવી પણ ચર્ચા છે કે પૂર્વ સીએમ સિદ્ધારમૈયા પહેલાંથી જ સમાંતર સરકાર ચલાવી રહ્યા હતા અને તેઓ જ કર્ણાટકની આ રાજકીય કટોકટી પાછળના મુખ્ય સૂત્રધાર પણ છે. બળવાખોર ધારાસભ્યને રોકવાના બદલે સિદ્ધારમૈયાએ દરેક વખતે કુમારસ્વામીની મુશ્કેલીઓ વધે તેવા જ પ્રયત્ન પડદા પાછળ કર્યા હતા.
કર્ણાટકમાં જે કપરી સ્થિતિ ઊભી થઈ તેની પાછળ આપણો પક્ષપલટાનો નબળો કાયદો પણ એટલો જ જવાબદાર છે. વર્ષ ૧૯૮પમાં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ પક્ષપલટાને રોકવા માટે પરના બંધારણીય સંશોધનના રૂપમાં પક્ષપલટા વિરોધી કાયદાની પહેલ કરી હતી. એ વખતે એવું લાગ્યું હતું કે હવે દેશમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે અને સત્તાની શાલીનતા જળવાઈ રહેશે. થોડાં વર્ષ સુધી આવું ચાલ્યું પણ ખરું, પરંતુ રાજકીય પક્ષોએ ફરીથી આ કાયદામાંથી છટકબારીઓ શોધી જ લીધી. હવે જથ્થાબંધ રીતે પક્ષપલટો કરીને રાજીનામાં ધરી દેવાનાં અને ફરી ચૂંટણી યોજવાનાં હથિયારો નેતાઓ છાશવારે વાપરતા થયા છે.
આમ તો રાજનીતિમાં સક્રિય દરેક વ્યક્તિનું મુખ્ય લક્ષ્ય સત્તાની પ્રાપ્તિ જ ગણાય છે. સિદ્ધાંતોનું હવે જાણે કોઈ મૂલ્ય જ ન રહ્યું હોય તેવું વર્તન અને આચરણ કરવામાં આવી રહ્યું છે. જનતા કોઈ પણ પક્ષને ખોબલે-ખોબલે મત આપીને ચૂંટે અને સત્તાસ્થાને બેસાડે પણ પક્ષપલટાની રાજનીતિ બધાં સમીકરણ ફેરવી નાખે છે. જનતાએ સ્પષ્ટ જાકારો આપ્યો હોય તેવા પક્ષ અને નેતાઓ પણ સત્તારૂઢ થઈ જાય છે અને પ્રજા બિચારી મૂંગા મોઢે બધો તમાશો જોયા કરે છે.
કર્ણાટકનું રાજકીય સંકટ આપણા બધા માટે અગત્યનો પાઠ લઈને આવ્યું છે. આપણા પક્ષપલટા વિરોધી કાયદામાં જો ફેરફાર કરવામાં નહીં આવે, આ કાયદાને વધુ કડક બનાવવામાં નહીં આવે તો આ રીતે ભવિષ્યમાં પણ લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાની ક્રૂર મજાક ઊડતી રહેશે.
તમામ સિદ્ધાંતોને કોરાણે મૂકીને પણ સત્તા હાંસલ કરવાની ભાજપના નેતાઓની લાલસા તેમને જનતાની નજરમાંથી સતત નીચા પાડી રહી છે. કર્ણાટક બાદ હવે ગોવામાં પણ ભાજપ આ રસ્તે જ આગળ વધી રહ્યો છે, જે બહુ ખતરનાક સંકેત છે. ભાજપ જો કર્ણાટકમાં સત્તા મેળવવામાં સફળ થયો તો આ મોડલ અન્ય રાજ્યમાં પણ લાગુ પાડશે તે નિશ્ચિત છે.•