કર્ણાટકમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા રાજકીય નાટક પર મંગળવારે સાંજે પડદો પડી ગયો. એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી કોંગ્રેસ-જેડીએસ સરકાર ફલોર ટેસ્ટમાં બહુમત સાબિત ન કરી શકતા પડી ગઇ.
કોંગ્રેસ-જેડીએસ પક્ષમાં 99 અને ભાજપના પક્ષમાં 105 મત પડ્યા હતા. આમ 14 મહીના સુધી ચાલેલી ગઠબંધન સરકારને સત્તામાંથી બહાર થવું પડ્યું. એચડી કુમારસ્વામી સાથે જે થયું, એવું તેમના કારણે અગાઉ કોંગ્રેસ અને ભાજપની સરકાર સાથે થયું હતું.
2004માં કોંગ્રેસની સરકાર પડી
2004માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કુલ 224 બેઠકોમાં ભાજપને 79, કોંગ્રેસને 65, જેડીએસને 58 અને અન્યને 23 બેઠક મળી હતી. જેને કારણે 2004માં કોઇ પક્ષને બહુમતિ મળી નહોતી. એવામાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સમજૂતિ થઇ અને કોંગ્રેસના ધરમસિંહ 28 મે, 2004ના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી બન્યાં. જો કે આ સરકાર અંદાજે 18 મહિના સુધી જ ચાલી. કુમારસ્વામીએ પોતાના ધારાસભ્યોનું સમર્થન પરત લઇ લેતાં સરકાર પડી ગઇ હતી.
2006માં ભાજપના સમર્થનથી બની કુમારસ્વામીની સરકાર
ધરમસિંહની સરકાર પડી ગયા બાદ કુમારસ્વામીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું. કુમારસ્વામી 2006માં ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બન્યાં. આ દરમિયાન ભાજપ-જેડીએસ વચ્ચે સરકાર બનાવતા પહેલા સમજૂતિ થઇ હતી કે બંને પાર્ટીના મુખ્યમંત્રી બરાબર-બરાબર સમય સુધી રહેશે. જો કે કુમારસ્વામીએ પોતાનો કાર્યકાળ પુરી કરી લીધા બાદ ભાજપને સત્તા સોંપવાનો સમય આવ્યો ત્યારે તેમણે આમ કરવાનો ઇન્કાર કરી દીધો. જેના કારણે કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું.
2007માં કુમારસ્વામીએ ભાજપની સરકાર પાડી
કુમારસ્વામીના રાજીનામા બાદ બે દિવસ સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. જો કે ત્યારબાદ 12 નવેમ્બર, 2007ના રોજ કુમારસ્વામીના બહારથી આપવામાં આવેલા સમર્થનના કારણે યેદિયુરપ્પાના નેતૃત્વની સરકાર બની. જો કે સાત દિવસની અંદર કુમારસ્વામીએ સમર્થન પરત ખેંચી લેતાં સરકાર પડી ગઇ હતી.
2018માં ફરી યેદિયુરપ્પાની સરકાર બની
2018ની વિધાનસભા ચૂંટણીમાં કોઇપણ પાર્ટીને બહુમત મળ્યો નહીં. રાજ્યપાલે ભાજપ સૌથી મોટી પાર્ટી હોવાના કારણે સરકાર બનાવવા નિમંત્રણ આપ્યું અને યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદની શપથ લીધી, જો કે વિધાનસભામાં બહુમત પ્રાપ્ત નહીં કરી શકતાં અંતે રાજીનામું આપ્યું.
2019માં કુમારસ્વામીની ફરી સરકાર રચાઇ અને પડી
કર્ણાટકના રાજકારણ હંમેશાને લઇને ચર્ચા જોવા મળ્યું છે. 2018માં યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યા બાદ કુમારસ્વામીના નેતૃત્વમાં જેડીએસ-કોંગ્રેસે સરકાર બનાવી. જો કે 14 મહિનાના કાર્યકાળ બાદ કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યોએ બળવો કરતાં ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા. ત્યારબાદ કુમારસ્વામી વિધાનસભામાં બહુમતિ સાબિત ન કરી શકતા સરકાર પડી ગઇ.