કર્ણાટકમાં આજરોજ 15 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઇને મતદાન કરવામાં આવી રહ્યું છે. આ બેઠકના પરિણામથી મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વવાળી ભાજપ સરકારના ભવિષ્યનો નિર્ણય થશે કે સરકાર બચી જશે કે ફરી સત્તા પરિવર્તન આવશે.
કર્ણાટકની 15 બેઠક પર આજે પેટાચૂંટણી
સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન
ભાજપને 15માંથી 6 બેઠક પર જીત મેળવી જરૂરી
સરકારને બહુમત સાબિત કરવા માટે પેટાચૂંટણીની ઓછામાં ઓછી 6 બેઠક પર જીત મેળવી પડશે. વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ 9 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. આજે જે 15 બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે તેમાં 12 પર કોંગ્રેસ અને ત્રણ બેઠક જેડી(એસ) પાસે છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ થવાના હતા પરંતુ ચૂંટણી પંચે 5 ડિસેમ્બર સુધી ટાળી દીધું હતું. 15 બેઠક પર પેટાચૂંટણી બાદ વિધાનસભાની ક્ષમતા 223 થઇ જશે. એવામાં ભાજપને બહુમતિ માટે 111 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. સત્તા પક્ષ અને વિપક્ષની સંખ્યા એક સરખી થવા પર વિધાનસભાના અધ્યક્ષ મતદાન કરી શકે છે. જો કે બે બેઠક મસ્કી અને આરઆર નગર પર ચૂંટણી યોજવામાં આવી નથી.
વિધાનસભામાં અત્યારે ભાજપ પાસે 105 (એક અપક્ષ ઉમેદવાર સહિત), કોંગ્રેસના 66 અને જેડી(એસ) ના 34 ધારાસભ્યો છે. બસપાનો પણ એક ધારાસભ્ય છે. આ સિવાય એક મનોનીત ધારાસભ્ય અને સ્પીકર છે. અયોગ્ય જાહેર કરાયેલા 13 ધારાસભ્યોને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. પેટાચૂંટણી લડવા માટે સુપ્રિમ કોર્ટમાંથી મંજૂરી મળ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.