કર્ણાટક વિધાનસભામાં આજે યેદિયુરપ્પા બહુમત સાબિત કરે તે પહેલા વિધાનસભાનું ગણિત ઘણું મહત્વનું બની ચુક્યું છે. કારણકે 224 બેઠકો ધરાવતી કર્ણાટક વિધાનસભામાં બહુમતનો આંકડો ઘટી ગયો છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાના સ્પીકર આર. રમેશ કુમારે કુલ 17 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી દિધા છે.
આમ કર્ણાટક વિધાનસભાની હાલની સ્થિતિમાં 207 ધારાસભ્યો છે. એટલે કે બહુમત માટે યેદિયુરપ્પાને 104 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. જો કે ભાજપ પાસે પોતાના 105 ધારાસભ્યો છે. આમ પુરેપુરી સંભાવના છે કે યેદિયુરપ્પા બહુમત સાબિત કરી નાખશે. જો કે ધારાસભ્યોને સ્પીકરે ગેરલાયક ઠેરવ્યા છે તે વિધાનસભા ભંગ ન થાય ત્યાં સુધી એટલે કે 2023 સુધી ચૂંટણી નહીં લડી શકે.
કર્ણાટકમાં આજે ફ્લોર ટેસ્ટ થવાનો છે. ત્યારે યેદિયુરપ્પા આજે વિધાનસભામાં બહુમત સાબિત કરશે. જ્યારે બીજી તરફ, બહુમત પરીક્ષણ પહેલા ભાજપના ધારાસભ્યોના દળની એક બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં બહુમત પરીક્ષણને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
બેંગાલુરૂની હોટલ ચાંસરી પવેલિયનમાં આ બેઠક યોજાઈ હતી. આખી રાત સુધી ભાજપના ધારાસભ્યો આ હોટલમાં રોકાયા હતા. બેઠક બાદ યેદિયુરપ્પાએ કહ્યુ, ધારાસભ્યોના દળની મળેલી બેઠકમાં શક્તિ પરીક્ષણને લઈને ચર્ચા થઈ હતી. બહુમત સાબિત કરતી વખતે અમે અંતિમ બિલ રજૂ કરીશુ. મને લાગે છે કે કોંગ્રેસ અને જેડીએસ પણ તેનું સમર્થન કરશે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં આજે મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પા વિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. આ પહેલા રવિવારે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજાઇ અને વિશ્વાસનો મત લઇને રણનીતિ બનાવવામાં આવી હતી. બેઠક બાદ ભાજપે કહ્યું હતું કે, 105 ધારાસભ્યો અમારી સાથે છે અને અમે બહુમતિ સાબિત કરીશું.